Rajkot અગ્નિકાંડ કેસમાં કોર્પોરેશનના વધુ બે અધિકારીની ધરપકડ
![rajkot Fire case SIT report handed to government](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/TRP-Fire-1.webp)
અમદાવાદ : ગુજરાતના રાજકોટ(Rajkot)ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ક્રાઇમ બ્રાંચે વધુ બે લોકોની ધરપકડ કરી છે. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના(RMC)બે અધિકારીઓની ધરપકડ કરી છે. પોલીસે આસીટન્ટ ટાઉન પ્લાનિંગ અધિકારી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
હજુ વધુ લોકોની ધરપકડની શક્યતા
જેમાં એસઆઈટીએ સમગ્ર કેસની કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે આ અધિકારીઓ અગ્નિકાંડ બાદ ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવ્યું હતું. જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એસઆઈટી આ કેસમાં હજુ પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેના પગલે હજુ વધુ લોકોની ધરપકડની શક્યતા છે.
રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે ધ્યાન જરુરી : મુખ્યમંત્રી
જો કે આ દરમ્યાન ગુજરાત હાઇકોર્ટ એસઆઈટી અને સરકારની કામગીરીથી નારાજ છે. તેમજ કહ્યું છે કે સરકાર દર વખતે નાના કર્મચારીઓની ધરપકડ કરે છે. પરંતુ કમિશનર જેમની આ જવાબદારી છે તેમની પર કાર્યવાહી કેમ નથી કરતી. આ ઉપરાંત હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજકોટની ઘટનામાં ભૂલ થઈ હોવાની બાબતને સ્વીકારી હતી.
તેમણે કહ્યું હતું કે વિકાસની પાછળ આપણે દોટ મુકીએ પણ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલુંજ જરૂરી છે. રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.ગેરકાયદે કામને આપણે શરૂઆતના તબક્કામાં જ અટકાવી દેવાનું છે.
રાજકોટના ગેમ ઝોનમાં શું થયું?
ઉલ્લેખનીય છે કે, 25 મેના રોજ સાંજે રાજકોટના TRP ગેમ ઝોન માં ભીષણ આગમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો સહિત કુલ 27 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શાળાની રજાઓને કારણે મોટી સંખ્યામાં બાળકો તેમના માતા-પિતા સાથે ગેમ ઝોનમાં પહોંચ્યા હતા
Also Read –