ત્રણ દિવસથી સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારજનોએ સંયમગુમાવ્યો
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/ત્રણ-દિવસથી-સ્વજનના-મૃતદેહની-રાહ-જોઈ-રહેલા-પરિવારજનોએ-સયંમ-ગુમાવ્યો.jpg)
રાજકોટ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 36 કલાકમાં 28 મૃતદેહો મળ્યા છે, અને હજુ પણ ગાયબ લોકોના નામની યાદી લાંબી છે. આથી હજુ મૃત્યુનો આંકડો વધી શકે છે. શનિવારે સર્જાયેલ દુર્ઘટનામાં મળેલા મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ શરીર બળવાના લીધે મૃતદેહોની ઓળખ થઈ શકે તેમ ન હોવાથી મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવા સેમ્પલને ગાંધીનગર FSL મોકલવામાં આવ્યા છે.
ગાંધીનગર FSLથી મૃતદેહોની ઓળખ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. હાલ પણ પીએમ રૂમની બહાર મૃતકોના પરિવારજનો છેલ્લા ત્રણ દિવસથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજ સુધી તેમણે મૃતદેહ ન મળતા પરિવારજનોએ સયંમ ગુમાવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને પરિવારજનો વચ્ચે શાબ્દીક બોલાચાલી થઈ હતી.
ત્રીજો દિવસ થઈ ગયો હોવા છતાં પરિવારજનો પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આજ સુધી કઈ પ્રત્યુતર ન મળતા પોલીસ અને પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. પરિવારજનોએ કહ્યું હતું કે અમને તાત્કાલિક જવાબ આપો , અમને મૃતદેહ ક્યારે મળશે ? જ્યારે એક વ્યક્તિ પોલીસે લગાવેલ બેરીકેડ કૂદીને પીએમ રૂમ સુધી પહોંચી ગયો હતો. પોલીસે તેને સમજાવીને શાંત પાડ્યો હતો.
હાલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ઓળખવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 4 મૃતદેહોને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. પરિવારજનો પોલીસ પાસે મૃતદેહ આપવાની માંગણી કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અમે DNA ટેસ્ટ આપ્યો હોવા છતાં અમને હજી કોઈ રિપોર્ટ નથી. અમારે બે બે દિવસથી મૃતદેહો માંગવા પડી રહ્યા છે. અધિકારીઓ કોઈ સરખો જવાબ નથી આપી રહ્યા.