રાજકોટમાં બંગાળી બાળકોને ગોંધી રાખી મજૂરી મુદ્દે રાજકારણ શરૂ; તૃણમૂલ કોંગ્રેસે ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહારો

રાજકોટ: રાજકોટમાં મોરબી રોડ બેડી ચોકડી નજીક આવેલી ગોપાલ રેસીડેન્સીના એક મકાનમાંથી મૂળ બંગાળના 19 બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાનો અને તેમની પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ માહિતી મળતાની સાથે જ શહેર એસઓજી (SOG) પીઆઈ, એએસઆઈ અને તેમની ટીમ, તેમજ એસીપી ક્રાઈમ અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ રાતોરાત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે આ મામલે તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટર પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર સામે સવાલ કર્યા હતા.
મળતી વિગતો અનુસાર રાજકોટ શહેર SOG એ રાજકોટના મોરબી રોડ, બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાં એક મકાન પર દરોડો પાડી 19 બંગાળી બાળકોને મુક્ત કરાવ્યા હતા, જેમને ગોંધી રાખીને મજૂરી કરાવવામાં આવતી હતી. આ બાળકોમાં 11 સગીર વયના હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ બંગાળનો અજમાત મૌલા નામનો શખ્સ આ બાળકોને બંગાળથી રાજકોટ “ઇમિટેશનના સારા કારીગર બનાવવાની લાલચ” આપીને લાવ્યો હતો.
આ પણ વાંચો - “દલિતો મરે તો ભલે મરે, અમને કોઈ ફરક નથી પડતો” ગુજરાત સરકાર પર જીગ્નેશ મેવાણીના આકરા પ્રહાર
તૃણમૂલ કોંગ્રેસે ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર
જો કે આ મામલે રાજકારણ ગરમાયું છે અને પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “વડાપ્રધાનના ડબલ એન્જિન રાજ્ય ગુજરાતમાં, બાળ મજૂરી માત્ર ચાલુ જ નથી રહી, પરંતુ તેની સાથે અમાનવીય વ્યવહાર પણ કરવામાં આવે છે! કાલનાનો એક યુવાન બાળક, ગણેશ દુર્લભ, ગુજરાતમાં એક જ્વેલરી ફેક્ટરીમાં કામ કરવા માટે મજબૂર થયો હતો, જ્યાં તેની સાથે નિર્મમ મારપીટ કરવામાં આવી હતી, જેના પરિણામે તેને ગંભીર ઈજાઓ અને કાયમી માનસિક આઘાત લાગ્યો હતો.”
તૃણમૂલ કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો કે, “બંગાળ પ્રત્યેના તેમના તિરસ્કારમાં ભાજપ ખુલ્લેઆમ અમારા લોકો સામે આ ભયાનક કૃત્યોને મંજૂરી આપી રહી છે.” આ ઘટનાને લઈને ભાજપ શાસિત ગુજરાત સરકાર પર બાળ મજૂરી અને શ્રમિકોના શોષણને અટકાવવામાં નિષ્ક્રિયતાનો આરોપ લગાવવામાં આવ્યો છે.