આપણું ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર એડવાઇઝરી થઇ જાહેર, મુસાફરોને કરવામાં આવી આ અપીલ

અમદાવાદ: દિવાળીની રજાઓ, વર્લ્ડકપ ફાઇનલ સહિતના અનેક કારણોસર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરીને ફ્લાઇટના સમયથી 2 કલાક વહેલા પહોંચી જવાની મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ બંને પ્રકારની ફ્લાઇટ્સ અવરજવર કરતી હોય છે, સામાન્ય દિવસોમાં પણ એરપોર્ટ પર સરેરાશ 30 હજાર જેટલા મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે ત્યારે તહેવાર તથા રજાઓમાં આ અવરજવર હજુ પણ વધી જાય છે. દિવાળીની રજાઓ અને 19 નવેમ્બરના અમદાવાદ ખાતે વર્લ્ડકપ ફાઇનલને પગલે દૈનિક મુસાફરોનો આંક 35 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે.
લાંબી લાઇનને કારણે મુસાફરોને ચેક ઈનમાં સમસ્યા નડે નહીં તે માટે સમય કરતાં વહેલા પહોંચવા માટે આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરાઇ છે.