ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર ત્રણ વિધેયક લાવવાની તૈયારીમાં | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર ત્રણ વિધેયક લાવવાની તૈયારીમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર ત્રણ જેટલા વિધેયક લાવવાની તૈયારીમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે. બજેટ સત્ર દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક લાવવાની તૈયારી કરી હોવાના સંકેત મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ પહેલી ફેબ્રુઆરીથી મળી રહ્યું છે તે પૂર્વેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. બજેટ સત્ર પૂર્વે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં શિસ્ત અને અનુશાસનને લઈને અઢી લાઇનની વ્હિપ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર દરમિયાન ત્રણ વિધેયક લવાય તેવી શક્યતા છે. આ પૈકી એક વિધેયક મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા વિધેયક છે. આ વિધેયકથી સખાવતી સંસ્થાઓ એટલે કે, ટ્રસ્ટ પાસે જે જમીન છે તે જમીનને બિનખેતી કરવાનાં દ્વાર ખુલ્લાં થશે તેમ સૂત્રોનું કહેવું છે. જોકે આ બિલની ચોક્કસ જોગવાઈઓ શું છે તે જાહેર કરવામાં આવી નથી. જે કેબિનેટની મંજૂરી બાદ જાહેર થશે. સખાવતી સંસ્થાઓની કેટલીક જમીન બિન ખેતી થતી ન હતી. આથી તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે તે જમીન બિન ખેતી થાય તેવો સુધારો બિલમાં લાવવામાં આવી રહ્યો છે. ૩૦ જૂન, ૨૦૧૫ અથવા તે પહેલાં ખરીદેલી જમીન બિનખેતી કરવા માટે આ જોગવાઈ અમલમાં આવે તેવી શક્યતા છે. દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રના શરૂઆતના દિવસોમાં આ બિલ લાવવામાં આવશે, જ્યારે બાકીનાં બે બિલ ફેબ્રુઆરીના અંતમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. વિધાનસભાનું બજેટ સત્ર તા.૧ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ બજેટ સત્રના ડે ટુ ડેની કામગીરી ગોઠવાઈ ગઈ છે અને તેમાં ફેબ્રુઆરી મહિનામાં આવતા ત્રણ શનિવારના દિવસે પણ ગૃહની કામગીરી ગોઠવાઈ હતી. આ પછી ફેબ્રુઆરીમાં રાજ્યસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શનિવારના દિવસો દરમિયાન કામગીરી બંધ રાખીને તે દિવસોની કામગીરી અન્ય દિવસોએ ખસેડવા વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. વિધાનસભાના સત્રમાં કયા દિવસે કયા પ્રકારની આગામી કામગીરી થશે તે નક્કી કરી નખાયું છે, જેમાં ૩ ફેબ્રુઆરીએ શનિવાર ૧૦ ફેબ્રુઆરીએ શનિવાર તેમ જ ૧૭ ફેબ્રુઆરીએ શનિવાર એમ ત્રણ દિવસ પણ બેઠક નિયત કરાઈ છે.

લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને શનિ-રવિવાર બે દિવસ રજા મળે તો અનુકૂળતા રહે તેવી સૌની લાગણી હતી.

આથી વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણ શનિવારની બેઠકમાં ફેરફાર કરવો પડે તેમ છે. આ ફેરફાર માટે ૩૧જાન્યુઆરીને બુધવારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ફેબ્રુઆરી મહિના ત્રણ શનિવારે ગોઠવવામાં આવેલી બેઠકો રદ કરવામાં આવે તેવી શક્યતા છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button