આપણું ગુજરાત

ટીબી મુક્ત ગુજરાત: રાજ્યમાં મૃત્યુદર અને નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો

2024માં 1,19,833 દર્દીઓના ખાતામાં કુલ રૂ. 46.50 કરોડની સહાય ડીબીટી મારફતે જમા કરાવવામાં આવી

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે નવા ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન અને ટીબીની શ્રેષ્ઠત્તમ સારવાર દ્વારા મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ટીબીના નવા દર્દીના રજિસ્ટ્રેશનમાં પણ ઘટાડો

ગુજરાત સરકારના એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જેના પરિણામે કેન્દ્ર સરકારે પણ આ કામગીરીની સરાહના કરીને ગુજરાતને સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રાખ્યું હતું.

આ પણ વાંચો: ભારતને ટીબી મુક્ત કરવાના દાવા વચ્ચે ગુજરાતમાં 2024માં નોંધાયા અધધ કેસ…

છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીના કેટલા દર્દી નોંધાયા

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ ક્ષણે જણાવ્યુ હતું કે, ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર, શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુદર ઘટાડવા અને સ્વસ્થ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા ચાર વર્ષના ડેટા પર નજર કરીએ તો ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓ રજીસ્ટ્રેશનમાં વર્ષ 2022માં 1,42,133,વર્ષ 2023માં 1,33,677, વર્ષ 2024 માં 1,33,805 નોંધણી થઇ હતી. જેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા જોતા વર્ષ 2022 માં 1,30,438 , વર્ષ 2023માં 1,22,588, અને વર્ષ 2024 માં 1,24,671 ટીબીની બીમારીને મ્હાત આપીને સાજા થયા હતા.

વર્ષ 2025 (જાન્યુઆરી થી એપ્રિલ) ની સ્થિતિ જોતા 45,282 નવા ટી.બી.દર્દીઓની નોંધણી થઇ હતી. અત્યાર સુધીમાં રજીસ્ટ્રર થયેલ દર્દીઓ સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 1011 છે. જે વર્ષ 2024-25 માં આ સમયગાળા દરમિયાન 2201 હતી. આમ ટીબીના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ટીબીથી મૃત્યુદર ઘટે માટે સરકારની શું છે કામગીરી ટી.બી.ના દર્દીઓ સ્વસ્થ થાય અને મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટીબી નિદાનના તમામ તબક્કામાં દર્દીઓને અતિજોખમી(હાઇ રીસ્ક) અને ઓછા જોખમી(લો રીસ્ક)ની શ્રેણીમાં વિભાજીત કરાય છે.

અતિજોખમી ટીબીના દર્દીઓની સારવાર માટે સબ ડિસ્ટ્રીક્ટ થી મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલ સુધી તમામ પ્રકારની સારવાર , સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દવા શરૂ થવાના 15 દિવસ બાદ અને ત્યારબાદ 2 મહિના પછી સમગ્ર સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવે છે. છ મહિનાની દવાનો કોર્ષ પૂર્ણ થયા બાદ દર્દીની ટ્રુનેટથી બલગમના ટેસ્ટ સાથે એક્સ-રે આધારિત મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદનો આ વિસ્તાર જાણે ટીબીનું ઘર! સૌથી વધુ 1229 કેસ

ગુજરાત રાજ્યમાં ટીબીના દર્દીઓના નિદાન માટે 2,251 નિ:શુલ્ક સૂક્ષ્મ પ્રયોગશાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ડ્રગ રેજીસ્ટંટ ટીબી(હઠિલા ટીબી) સહિતના ટીબીના નિદાન માટે 3 ટીબી કલ્ચર પ્રયોગશાળા, 74 સીબીનેટ મશીન અને 141 ટ્રુનેટ મશીનની સેવા ઉપલબ્ધ છે. વધુમાં રાજ્યના પ્રત્યેક તાલુકામાં ટીબી નિદાન માટેના ટ્રુનેટ મશીન ઉપલબ્ધ બને તે માટે નવીન 181 મશીનની ખરીદ પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા ભારત સરકાર દ્વારા દર મહિને રૂ. 1000ની સહાયતા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી દર્દીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2024 માં 1,19,833 દર્દીઓના ખાતામાં કુલ રૂ. 46.50 કરોડની સહાય ડીબીટી મારફતે જમા કરાવાઇ હતી.

જેના અતંર્ગત રાજ્યમાં 10,832 નિક્ષય મિત્રનું રજીસ્ટ્રેશન નિક્ષય પોર્ટલ પર કરવામાં આવ્યું છે. નિક્ષય મિત્રના માધ્યમથી વર્ષ 2022થી અત્યાર સુધીમાં ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા કુલ 3,79,382 પોષણ કિટનું વિતરણ કરાયું છે. વર્ષ 2025 થી અત્યાર સુધીમાં કુલ 18,000 પોષણ કિટનું વિતરણ કરાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button