સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાએ રેકોર્ડ તોડ્યોઃ 18 લાખ ટન કરતા વધારે આવક
![Surendranagar district broke the record of salt yielding more than 18 lakh tonnes](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/salt-yielding.webp)
સુરેન્દ્રનગરઃ દેશને નમક એટલે કે મીઠું પૂરુ પાડવામાં ગુજરાતનું યોગદાન સૌથી વધારે છે. કચ્છ અને સુરેન્દ્ર નગરમાં આ ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડામાં રેકોર્ડબ્રેક 18 લાખ ટન મીઠાની આવક નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે ખારાઘોડા ઝીંઝુવાડા રણમાં દર વર્ષે સામાન્યત: 10થી 12 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે.
ભારતના કુલ મીઠા ઉત્પાદનનું ઉત્પાદનનું 70 ટકા મીઠું ગુજરાતમાં બને છે. એમાંથી 35 ટકા મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોડા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે. ખારાઘોડામા આઝાદી પહેલા 1872થી બ્રિટિશ હુકુમત સમયે અંગ્રેજોએ રણમાં મીઠું પકવવાની શરૂઆત કરી હતી અને એમના સંરક્ષણ ખાતા માટેનું ત્રીજા ભાગનું બજેટ તો એકમાત્ર મીઠાના ટેક્સમાંથી ભેગું કરવામાં આવતું હતું, તેમ ઈતિહાસકારો કહે છે. ત્યારે અહીં મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો-વેપારીઓ જણાવે છે કે ખારાઘોડામાં આ વર્ષે પહેલી વખત જ અત્યાર સુધીમાં 18,46,346 5 લાખ મેટ્રિક ટન મીઠાની રેકોર્ડબ્રેક આવક નોંધાતા લગભગ 150 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
હવે આખું વર્ષ આ મીઠું ગુજરાતભરમાં અને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના ભારતના તમામ રાજ્યોમાં અને છેક નેપાળ સુધી ટ્રકો દ્વારા અને માલગાડીઓ દ્વારા મોકલવામાં આવશે. આ અંગે ખારાઘોડા સોલ્ટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખએ જણાવ્યું કે, ખારાઘોડા રણનું 45,000 મેટ્રિક ટન મીઠું ઝીંઝુવાડામાં અને 65,000 મે.ટન મીઠું કૂડા ખાતે લઈ જવામાં આવ્યું છે.