Surat accident: સુરતમાં શાકભાજી લઇ જતી ટ્રક પલટી જતા ત્રણ શ્રમિકોના મોત, સાત ઘાયલ

સુરતમાં આજે વહેલી સવારે ઘટેલા એક માર્ગ અકસ્માતમાં ત્રણ શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા હતા. પોલીસે જણાવ્યા મુજબ શુક્રવારે વહેલી સવારે બારડોલીના કિકવાડ ગામ પાસે શાકભાજીથી ભરેલી ટ્રક પલટી (Surat Truck accident) ગઈ હતી, જેના કારણે ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
અહેવાલ મુજબ બારડોલીના કિકવાડ ગામ પાસે નેશનલ હાઈવે 53 પર આ અકસ્માત થયો હતો. બારડોલી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શાકભાજી ભરીને ટ્રક પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી સુરત શહેર તરફ જઈ રહી હતી.
પોલીસ અધિકારી એ જણાવ્યું કે, ‘ડ્રાઇવર ખૂબ જ ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો કારણ કે શાકભાજીની વધુ કિંમત મળે એ માટે સવારમાં સમય પહેલા તે સુરત પહોંચવા માંગતો હતો. દરમિયાન તેણે ટ્રક પરનો કાબુ ગુમાવતા કીકવાડ પાસે ટ્રક પલટી મારી ગઈ હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ટ્રકમાં દસ મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.’
આ ઘટનામાં ટ્રક ડ્રાઈવરને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીના જણવ્યા મુજબ મૃતક પિન્ટુ પવાર (40), ભાવસા માલી (40) અને સોનુ પાટીલ (35) નાશિક જિલ્લાના સતાના તાલુકાના રહેવાસી હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. તેને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.