મહાશિવરાત્રિ પર સોમનાથ ખાતે ઉજવાશે સોમનાથ મહોત્સવ; ત્રિ-દિવસીય કળા દ્વારા આરાધના

સોમનાથ: રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે તા.24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ મહાદેવ શૈવ આગમની પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવ જ્યાં સંગીત અને નૃત્ય ફક્ત કલા સ્વરૂપો નથી પરંતુ પૂજાનું માધ્યમ છે – દિવ્ય અને નશ્વર વચ્ચેનો સેતુ છે. શૈવ ધર્મમાં, શિવ એક વૈશ્વિક નૃત્ય એવા નટરાજ છે, જેમનું તાંડવ નૃત્ય લય અને બ્રહ્માંડને આકાર આપે છે. તેમના હાથમાં રહેલ ડમરુ, જે સ્વરો (સંગીતના સૂરો)ને જન્મ આપે છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીતનો આધાર માનવામાં આવે છે.

શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એ શિવ ભક્તિ ઉપરાંત નાટ્ય (નૃત્ય) અને ગાન (સંગીત)નું પણ કેન્દ્ર રહ્યું છે. જ્યાં કલાત્મક અભિવ્યક્તિ દ્વારા આધ્યાત્મિક અનુભવને ઉન્નત કરવામાં આવે છે. મંદિરનો નાટ્ય મંડપ આ લાંબા સમયથી ચાલી રહેલ પરંપરાનો સાક્ષી છે.
વાદ્યમ્-નાદસ્ય યાત્રા પર વિશેષ પ્રદર્શન
રાજ્યના પ્રવાસન વિભાગ તથા ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર, વડોદરા દ્વારા આયોજિત આ સમગ્ર મહોત્સવ દરમિયાન સન્માનિત ખ્યાતનામ કલાકારો દ્વારા ત્રણ દિવસ અને રાત્રિ દરમિયાન મહાશિવરાત્રીની ઘડીએ વિશેષ સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત અહી “વાદ્યમ્-નાદસ્ય યાત્રા” પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં “સેક્રેડ સાઉન્ડ: નાદ, વાંદ્યો અને તેમની કથાઓ” સંગીત, આધ્યાત્મિકતા તેમજ કલા અભિવ્યક્તિ વચ્ચેનો અનોખો સંબંધ ઉજાગર કરાશે. તદઉપરાંત સંગીત વાંદ્યોની વિકાસયાત્રા, દિવ્ય કથાઓ સાથેની તેમની જોડાણતા અને શિલ્પ-દૃશ્યકળામાં તેમની રજૂઆત આ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેશે.

ત્રિવેણી સંગમ પર વિશેષ સંગમ આરતી
સોમનાથ યાત્રાધામ નજીક કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર આ મહોત્સવ દરમિયાન દર સાંજે વિશેષ ‘સંગમ આરતી’ યોજાશે, જેમાં 108 દિવડા પ્રજ્વલિત કરી ભક્તિમય વાતાવરણનું સર્જન થશે. શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા 24 અને 25 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે “સૌમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા” પર શ્રી સોમનાથ સંસ્કૃત મહાવધ્યાલય ખાતે વિશેષ સેમિનાર યોજાશે, જેમાં સોમનાથના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર ચર્ચા કરવામાં આવશે.
પાર્થિવેશ્વર મહાપૂજન
તા. 26 ફેબ્રુઆરી 2025ના રોજ મારુતિ બીચ ખાતે સવારે 8 કલાકે મહાશિવરાત્રીના પ્રસંગે શાસ્ત્રોત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવની સમયસૂચી
પ્રથમ દિવસ : 24/02/2025
સવારે 10 વાગે: શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા (सौमनाथः मन्दिरं, तीर्थं, परंपरा च) પર સેમિનાર
સાંજે 7.30 વાગે: મુખ્ય મંચ પર ઉદ્ઘાટન સમારોહ
રાત્રે 8 વાગે: ડૉ. સોનલ માનસિંહ (પદ્મ વિભૂષણ) દ્વારા ‘નાટ્યકથા હર હર મહાદેવ’ની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: કુ. સૂર્યાગાયત્રી દ્વારા શિવ ભજન
રાત્રે 10 વાગે: વિદુષી રામા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન’ની પ્રસ્તુતિ
રાત્રે 11 વાગે: ડ્રમ્સ શિવમણિ અને શ્રી પંડિત રોનુ મઝુમદાર (પદ્મશ્રી) (કીબોર્ડ પર શ્રી અતુલ રાણીંગા)ની જુગલબંધી
દ્વિતીય દિવસ : 25/02/2025
સવારે 10 વાગે: શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા (सौमनाथः मन्दिरं, तीर्थं, परंपरा च) પર સેમિનાર
સાંજે 7 વાગે: શ્રી રામચંદ્ર પુલાવર (પદ્મશ્રી) દ્વારા શેડો પપેટ્રી શો
રાત્રે 8 વાગે: વિદુષી સુધા રઘુરામન દ્વારા ગાયન સંગીતની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: શ્રી કુમુદિની લાખિયા (પદ્મ વિભૂષણ) અને કદંબ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ
રાત્રે 10 વાગે: શ્રી અતુલ પુરોહિત દ્વારા ભજન ગાયન
તૃતીય દિવસ : 26/02/2025 (મહાશિવરાત્રી)
રાત્રે 8 વાગે: બરોડા કેરલા સમાજમ દ્વારા સિંગરી મેલમ તથા નિલેશ પરમાર દ્વારા ગુજરાતી લોકનૃત્યની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: શ્રી યોગેશ ગઢવી દ્વારા ડાયરાની પ્રસ્તુતિ
રાત્રે 10 વાગે: શ્રીમતી રાજશ્રી વૉરિયર અને ગ્રૂપ દ્વારા પ્રસ્તુતિ
રાત્રે 11 વાગે: શ્રી મૈસુર મંજુનાથ દ્વારા વાયોલિન પ્રસ્તુતિ
રાત્રે 12 વાગે: સ્પર્શ સ્ટુડિયો ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ (શ્રીમતી સુમન સ્વરાગી) દ્વારા 8 શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ
રાત્રે 1 વાગે: પંડિત વિશ્વમોહન ભટ્ટ (પદ્મ ભૂષણ) તથા પંડિત સલિલ ભટ્ટ દ્વારા ‘ડેઝર્ટ સ્લાઇડ્સ’ની પ્રસ્તુતિ
સવારે 2 વાગે: પંડિત શશાંક સુબ્રમણ્યમ દ્વારા વાંસળી વાદન
સવારે 3 વાગે: માઇસ્ટ્રો બિક્રમ ઘોષ “રિધમસ્કેપ”