સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માત: બંને અકસ્માતમાં ડ્રાઇવરના મૃત્યુ…

ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લામાં આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં બે ડ્રાઇવરોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળક સહિત પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. બંને ઘટનાઓને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

લીંબડી-અમદાવાદ હાઈવે પર ટેમ્પો પલટ્યો
પહેલો અકસ્માત લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામ નજીક બન્યો હતો. એક છોટા હાથી ટેમ્પોનું ટાયર ફાટતા ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં પરણાળા ગામના 70 વર્ષીય ગટોરભાઈ કાનજીભાઈ બાવળીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ચોટીલા નજીક કારનો અકસ્માત
બીજો અકસ્માત ચોટીલા નજીક સર્જાયો હતો. સમી તાલુકાના ગુલાબપુરા અને ગોચનાદ ગામનો એક પરિવાર ચોટીલા દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે તેમની કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં ગોચનાદ ગામના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક બાળક સહિત પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બંને અકસ્માતોના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે બંને ઘટનાઓમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાઓની જાણ થતાં સ્થાનિક લોકો અને મૃતકના તેમજ ઘાયલોના સંબંધીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button