સુરેન્દ્રનગરનાં સાયલામાં 7.50 કરોડનાં ખર્ચે એનિમલ હોસ્પિટલ બનશે | મુંબઈ સમાચાર

સુરેન્દ્રનગરનાં સાયલામાં 7.50 કરોડનાં ખર્ચે એનિમલ હોસ્પિટલ બનશે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા ખાતે ટૂંક સમયમાં જ અદ્યતન એનિમલ હોસ્પિટલનું નિર્માણ થશે. 2 એકર જમીનમાં આશરે રૂ. 7.50 કરોડના માતબર ખર્ચે આકાર લેનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત ઓગસ્ટ મહિનામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ હોસ્પિટલના નિર્માણથી સુરેન્દ્રનગર અને આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં પશુઓની સારવારની સુવિધાના અભાવે અકાળે મૃત્યુ પામતા હજારો અબોલ જીવોને નવજીવન મળશે.

પશુઓ માટે હવે આવી સુવિધાઓ

આ એનિમલ હોસ્પિટલમાં ઓપરેશન થીએટર, આઈસીયુ, એક્સ-રે, યુજીસી અને ફિઝિયોથેરાપી જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સાયલા અને આસપાસના વિસ્તારમાં પશુ સારવાર માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે દરરોજ અકસ્માત કે બીમારીના કારણે અનેક અબોલ જીવો મૃત્યુ પામે છે. આ નવી હોસ્પિટલ દ્વારા આવા જીવોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવશે. સાયલા ખાતે નિર્માણ પામનાર આ હોસ્પિટલમાં 1,000 જેટલા પશુઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રોજેકટ માટે કુલ રૂ. 7.50 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. આ પૈકી હાલ રૂ. 1 કરોડનું અનુદાન મળી ચૂક્યું છે અને ઓગસ્ટ મહિનાથી પ્રથમ ફેઝનું કામ શરૂ કરાશે.

આ પણ વાંચો…સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.35 કરોડના દારૂ આઠ બૂટલેગર પકડાયાઃ પાંચ પોલીસ સસ્પેન્ડ!

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button