સુરેન્દ્રનગર

ચોમાસા પહેલા સુરેન્દ્રનગરમાં સાવચેતી: 6 ડેમ ઓવરફ્લો થતાં જળાશયોમાં પ્રવેશ અને સેલ્ફી પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર: હાલ રાજ્યમાં વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જુદા જુદા સ્થળો જળાશયો, નદી કે સિંચાઈ યોજનામાં પ્રવેશ અંગે અધિક જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. ઓઝા દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, ભયજનક સ્થળો, જળાશયો, નદી કે નદીના પટ અને સિંચાઈ યોજનાઓના સ્થાને નાગરિકો અને વસવાટ કરતા વ્યક્તિઓને પ્રવેશ કરી નાહવા અને જળાશયોના તટ કે પાળી પર પહોંચી જોખમી રીતે સેલ્ફી લેવા કેમેરાથી કે મોબાઈલથી શુટીંગ કરવા જેવી પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં સાયલા તાલુકામાં થોરિયાળી ડેમ અને નિંભણી ડેમ, વઢવાણ તાલુકામાં વડોદ ડેમ અને ધોળીધજા ડેમ, મુળી તાલુકામાં નાયકા ડેમ અને સબૂરી ડેમ, ચુડા તાલુકાના વાંસલ ડેમ, ધ્રાંગધ્રા તાલુકામાં ફલકુ ડેમ, ચોટીલા તાલુકામાં મોરસલ, ધારી, ત્રિવેણીઠાંગા જેવા જળાશયો, સિંચાઇ યોજના, નદી, તળાવનો સમાવેશ થાય છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદમાં જ 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે બાકીના 5 ડેમો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. જૂન માસના પ્રારંભે જિલ્લાના ડેમોમાં માત્ર 25થી 28 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. જો પરંતુ જૂન માસના છેલ્લા અઠવાડિયાનાં આરંભે જ સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. સૌથી વધુ વરસાદ ચોટીલા પંથકમાં નોંધાયો હતો. જિલ્લામાં પડેલા સારા વરસાદના કારણે નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી અને વડોદ ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયા છે. ધોળીધજા ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. જિલ્લાના અન્ય ડેમ જેવા કે મોરસલ, ત્રિવેણી ઠાંગા, ફલકુ, નીંભણી અને ધારી ડેમમાં 70 ટકાથી વધુ નવા નીરની આવક થઈ છે. આમ, સિઝનના પ્રથમ વરસાદે જ કુદરતની મહેરથી જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button