આટલું રેઢિયાર તંત્ર? સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં નવજાતનું કીડી કરડવાથી મોત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં મેડિકલ કોલેજમાં NICUમાં જીવાત કરડવાથી નવજાતનું મોત થયું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં દાખલ બાળકના મોતથી પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. મળતી વિગત પ્રમાણે, PM-JAY યોજના હેઠળ પ્રસૂતાની ડિલિવરી કરાવ્યા બાદ NICUમાં દાખલ કરાયેલા નવજાત બાળકનું જીવાત કરડવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી હૉસ્પિટલના સંચાલન અને સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી હતી.
બાળકના પિતાએ આરોપ લગાવ્યો છે કે, બાળકને જે પેટીમાં રાખવામાં આવ્યું હતું, તેમાં કીડીઓ અને અન્ય જીવાતો હતી. વહેલી સવારે જ્યારે તેઓ બાળકને જોવા પહોંચ્યા, ત્યારે બાળકના ગળા અને મોઢાના ભાગે જીવાતો કરડી ગયેલી જોવા મળી હતી. આ જીવાતોના કરડવાથી બાળકને ઝેરી અસર થવાના કારણે તેનું મોત થયું હતું.
પરિવારજનોનો દાવો છે કે, PM-JAY યોજના હેઠળ સારવાર લેતા દર્દીઓ પર હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ પૂરતું ધ્યાન આપતા નથી. બાળકના પિતાએ આ ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હૉસ્પિટલના મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેમનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આખરે પરિવારે મીડિયાને જાણકારી આપીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આપણ વાંચો: ભારતની પ્રથમ એઆઈ આધારિત હળવી ટેન્ક ઝોરાવર ગુજરાતમાં બનશે, જાણો કેટલી છે કિંમત અને શું છે ખાસિયત
બાળકના મોતના સમાચાર મળતા જ હૉસ્પિટલ સંચાલકો દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આ ઘટના બાદ હસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનાએ આરોગ્ય સેવાઓમાં બેદરકારી અને જવાબદારીના મુદ્દાને ફરી એકવાર પ્રકાશમાં લાવી હતી.