સુરેન્દ્રનગર

હળવદ પાસે ટ્રક ડ્રાઇવર પર હુમલા મુદ્દે ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ; પોલીસની સમજાવટ બાદ ટ્રાફિક પૂર્વવત કરાયો

હળવદ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઇવર અને ક્લિનર પર હુમલો થતાં અન્ય ટ્રક ચાલકોએ છ કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઇવેની બંને બાજુ પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી લાઇનો લાગી હતી. જોકે ધ્રાંગધ્રા DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

પોલીસની ઓળખ આપી રુપિયાની માંગ કરી

મળતી વિગતો અનુસાર વહેલી સવારે એક ટ્રક ડ્રાઇવર કાપડ ભરીને મોરબી તરફ જઇ રહ્યો હતો, ત્યારે સોલડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડે આગળ કેટલાક શખ્સોએ પોલીસની ઓળખ આપીને તેની સાથે રુપિયાની માંગ કરી હતી. જોકે, ટ્રક ચાલકે ઓછા રુપિયા આપવાની વાત કરતાં બબાલ થઇ હતી અને ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર-પાંચ વર્ષથી મોરબી આવીએ છીએ. હળવદની પહેલા આ ટોલ પર રોજ રાત્રે ખોટી રીતે પૈસા વસુલવામાં આવે છે. આજે હું અને મારો ભાઇ ઉદયપુરથી ગાડી લોડ કરીને મોરબી જવા નીકળ્યા હતા ત્યારે અહીં ટોલ કપાવ્યા પછી લાકડીઓ સાથે ઉભા રહેલા શખ્સોએ પોલીસની ઓળખ આપીને અમારી પાસે 500 રૂ. માંગ્યા હતા. જોકે, અમે એમને 50 રુપિયા આપવાની વાત કરી તો એમણે અમને જાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને અમારી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.

100થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો

DySP જે. ડી. પુરોહિતે ટોલ પ્લાઝા પર 100થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દઈ પાંચથી છ કલાક સુધી ડ્રાઇવરોને સમજાવટ કરી હતી અને સૌ પ્રથમ કચ્છથી અમદાવાદ હાઈવે ક્લિયર કરાવ્યો હતો. જે બાદ બીજી તરફનો અમદાવાદ-કચ્છ હાઈવે ક્લિયર કરાવ્યો હતો. જોકે, આ દરમિયાન પાંચથી છ કલાક હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે બે આરોપીઓને રાઉન્ડ કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે.

શું કહ્યું ધ્રાંગધ્રા પોલીસે?

આ અંગે ધ્રાંગધ્રા DySP જે. ડી. પુરોહિતે જણાવ્યું હતું કે, સોલડી ટોલ ટેક્સ પાસે આજે સવારે 5.30 વાગ્યા આસપાસ એક ટ્રક ચાલકને કોઈ ઈસમ સાથે બોલાચાલી થઇ હતી. જે બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ત્રણ-ચાર ઈસમોએ ટ્રક ચાલકને માર્યો હતો. જેમાં એને સામાન્ય ઈજાઓ પહોંચતા 108 હેઠળ સારવાર આપવામાં આવી હતી. ટોલટેક્ષ પરના તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારીઓ હતા કે કેમ એની તપાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો…આજથી એક મહિના સુધી જામનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ; સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા જાળવવા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button