સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર: આ ૧૧ જિલ્લાઓમાં મળશે ૧૦ કલાક વીજળી | મુંબઈ સમાચાર

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર: આ ૧૧ જિલ્લાઓમાં મળશે ૧૦ કલાક વીજળી

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરીકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો હતો.

પ્રધાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી. જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકો અને ખેડૃતોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો હતો.

આ પણ વાંચો: લોકસભાઃ ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મંત્રાલયે બજેટ છ ગણું વધાર્યુ

આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે તેમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના ખેડૂતો કેમ મુકાયા મુંઝવણમાં ?

સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે

અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે પ્રધાને જણાવ્યું હતું કે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ ૧૧ જિલ્લાઓમાં ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ ૧૧ જિલ્લામાં ૧૦ કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button