સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષાઃ ભાદર, ન્યારી-1, લાલપરી સહિત 15 ડેમોમાં નવા નીરની આવક યથાવત

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનુ જોર ઘટવા છતાં જળાશયોમાં નવા નીરની આવક ચાલુ રહી હોય તેમ રાજકોટ જીલ્લાના સાત સહિત 15 ડેમોમાં નવા પાણી ઠલવાયા હતા. ભાદર, આજી, ન્યારી, લાલપરીમાં પણ થોડી આવક હતી.
રાજકોટ સિંચાઈ વર્તુળના રિપોર્ટ મુજબ ભાદર ડેમમાં નવુ 0.26 ફુટ પાણી આવતા ડેમની સપાટી 22.50 ફુટે પહોંચી હતી. કુલ 34 ફુટનું લેવલ ધરાવતા ડેમમાં 11.10 ફુટ બાકી છે. આ સિવાય આજી 3 માં 0.33 ફુટ, ન્યારી-1માં 0.16 ફુટ, ન્યારી-2માં 0.33 ફુટ, લાલપરીમાં 0.82 ફુટની આવક થઈ હતી.
લાલપરીની 15 ફુટની સપાટી છે તે હવે 11.40 ફુટે પહોંચ્યો છે. છલકાવવામાં 3.60 ફુટ બાકી છે. ભાદર-2ની સપાટીમાં 0.49 ફુટ તથા ઘેલા સોમનાથની સપાટીમાં 3.48 ફુટનો વધારો થયો હતો.
મોરબી જીલ્લામાં આવેલા મચ્છુ-1ની સપાટીમાં 0.66 ફુટ, મચ્છુ-2માં 2.89 ફુટ, ઘોડાધ્રોઈમાં 1.51 ફુટ, બ્રાહ્મણીમાં 1.21 ફુટ, બ્રાહ્મણી-2માં 0.33 ફુટ નવા નીર હતા. સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-1માં 0.39 ફુટ, ફુલકુમાં 0.16 ફુટ, મોરસલમાં 3.28 ફુટ નવુ પાણી આવ્યુ હતું.
રાજ્યમાં 19 જૂન ગુરૂવારના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 92 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં કપરાડા-4.53 ઈંચ, ધરમપુરમાં 4.25 ઈંચ, ઉમરગામમાં 3.9 ઈંચ, નવસારીના ખેરગામમાં 3.86 ઈંચ, ભરૂચના હાંસોટમાં 3.58 ઈંચ, સુરતના ઓલપાડમાં 3.5 ઈંચ, ડાંગના વઘઈમાં 3.43 ઈંચ, ભરૂચના વાલિયામાં 3.11 ઈંચ, વરસાદ નોંધાયો હતો. જ્યારે 63 થી વધુ તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 82 તાલુકામાં 0.04 ઈંચથી લઈ 2.83 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો…વડોદરામાં પૂર સામે લડવા 200 તરવૈયાઓની ‘ફોજ’ તૈયાર, VMCનું આગોતરું આયોજન