રાજકોટ

પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લવાયો: હજારોની મેદની ઉમટી, ‘અમર રહો ના’નારા લાગ્યા

રાજકોટ: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન AI 171 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશ દુર્ઘટનાના 70 કલાક બાદ તેમના DNA મેચ થયા બાદ રૂપાણી પરિવારને તેમનો પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો.

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. આજે તેમના અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે.

આપણ વાંચો: વિજય રૂપાણીના નિધનથી શોક: મિત્રએ વાગોળ્યા અંતિમ પળોના સંસ્મરણો

મળતી વિગતો અનુસાર સ્વર્ગસ્થ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પાર્થિવદેહને અમદાવાદથી હવાઈ માર્ગે હીરાસર એરપોર્ટ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો હતો.

ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રિજ પર વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે લાઈન લાગી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસ સ્થાન સુધી તેમના મૃતદેહને લઈ જવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું

રાજકીય મહાનુભાવો રાજકોટ પહોંચ્યા

સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવો રાજકોટ પહોંચી ગયા છે. તે ઉપરાંત ભાજપના કાર્યકરો, મોટા નેતાઓ અને અસંખ્ય સમર્થકો વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે.

રાજકોટવાસીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

વિજય રૂપાણીના પાર્થિવદેહને લઈને પરિવાર બહુમાળી ભવન ચોક ખાતે પહોંચતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આમ્રપાલી બ્રિજ પાસેથી પસાર થતી વખતે શહેરવાસીઓએ પુષ્પ અર્પણ કરીને પૂર્વ મુખ્ય પ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ, પાર્થિવદેહને કિસાનપરા ચોકથી હનુમાન મઢી તરફ થઈને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. અંતિમ યાત્રાના રૂટ પર વિજયભાઈ ‘અમર રહો ના’નારા લોકોએ લગાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button