મોરબી-રાજકોટ આઈટી રેડમાં 300 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા | મુંબઈ સમાચાર
રાજકોટ

મોરબી-રાજકોટ આઈટી રેડમાં 300 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા

મોરબી/રાજકોટઃ મોરબી-રાજકોટના જાણીતા સિરામિક ગ્રુપ લેવીસ, લીવા અને મેટ્રો પર ઈન્કમ ટેક્સે પાડેલા દરોડા દરમિયાન ચાર દિવસમાં 300 કરોડના બિનહસાબી વ્યવહાર પકડાયા હતા. દરોડાની કાર્યવાહી આવતીકાલે પૂરી થઈ શકે છે. આ ઉપરાંત 25માંથી ત્રણ લોકર ખોલવામાં આવતાં 50 લાખની જ્વેલરી મળી હતી. બાકીના લોકર ખોલવાની પ્રક્રિયા આગામી દિવસોમાં પૂરી થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરોડા દરમિયાન 25 રહેણાંક સ્થળ, 5 ઓફિસ અને બાકીની ફેક્ટરી યુનિટ્સ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સિરામિક ગ્રુપના સંચાલકોએ પણ કરચોરીની કબૂલાત કરી હતી. આ કબૂલાત બાદ હવે હિસાબોની વિગતવાર ચકાસણી અને કરચોરીની રકમ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અત્યાર સુધીની તપાસમાં 300 કરોડથી વધુનો આંકડો સામે આવ્યો હતો. આ પ્રાથમિક અંદાજ છે. હાલમાં ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કરેલા હિસાબી ચોપડા, કમ્પ્યુટર હાર્ડ ડ્રાઇવ અને ડિજિટલ ડેટાની ચકાસણી બાકી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ કરચારીનો સાચો આંકડો સામે આવી શકે છે. આ ઉપરાંત કયા વ્યવહારોમાં કરચોરી થઈ છે અને કઈ રીતે કરચોરીને છુપાવવામાં આવી હતી તેની વિગતવાર તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો…47.32 કરોડ રૂપિયાના જીએસટી ક્રેડિટ ફ્રોડમાં વેપારીની ધરપકડ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button