રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો ફરી રેસકોર્સ મેદાનમાં જ યોજાશે: કલેક્ટર વિભાગની સત્તાવાર જાહેરાત…

રાજકોટ: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું ખાસ આકર્ષણ સમાન રાજકોટના જન્માષ્ટમીના મેળાનું સ્થાન બદલાવામાં આવે તેવી ચર્ચા ખૂબ લાંબા સમયથી ચાલી રહી હતી. અત્યાર સુધી રાજકોટ શહેરની વચ્ચે આવેલા રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ ગેમઝોન દુર્ઘટના અને લોકમેળાના આયોજનથી શહેરમાં સર્જાતી અવ્યવસ્થાને નિવારવા માટે સ્થાન બદલાવાની ચર્ચા જાગી હતી. પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
જન્માષ્ટમીના મેળાનું સ્થાન નહિ બદલાય
મળતી વિગતો અનુસાર રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો આ વર્ષે પણ રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવી સત્તાવાર જાહેરાત કલેક્ટર વિભાગ દ્વારા કરવામાં આવી છે. અગાઉ, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના અને ટ્રાફિક વ્યવસ્થા જેવી સમસ્યાઓને કારણે મેળાનું સ્થળ બદલીને અટલ સરોવર નજીક ખસેડવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ અટકળોનો અંત આવ્યો છે. મેળાના સ્ટોલ/પ્લોટ માટે 9 થી 13 જૂન, 2025 દરમિયાન અરજી કરી શકાશે, જ્યારે ડ્રો અને હરરાજી 23 થી 26 જૂન, 2025 દરમિયાન યોજાશે.
રેસકોર્સ આસપાસ ટ્રાફિક જામની સમસ્યા
રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનું સ્થાન બદલવા અંગે રાજકોટના આગેવાનોમાં મતભેદો છે. આ અંગે ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં લાખોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે, અને તે દરમિયાન આસપાસના રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સ્થાનિકો દ્વારા દર વર્ષે ફરિયાદ પણ કરવામાં આવે છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને મેળાનું સ્થાન રેસકોર્સ મેદાનથી બદલીને અટલ સરોવર કરવા માટે જિલ્લા સંકલન સમિતિમાં છેલ્લા એક વર્ષથી રજૂઆત કરી છે.
અટલ સરોવર પર યોજાશે તો લોકોને હેરાનગતિ
જ્યારે આ બાબતે અન્ય આગેવાનોએ તેમનો મત રજૂ કરતાં કહ્યું હતું કે, “રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજવાથી આસપાસના ગ્રામજનો તેમજ તાલુકા મથકના લોકો મેળાનો આનંદ માણી શકે છે. જો મેળાનું સ્થળ ફરતા લોકોને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધી જશે. જેથી આ મેળા માટે રાજકોટ શહેરની મધ્યમાં આવેલા મેદાન હોય તે આવશ્યક છે એટલે કે રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં લોકમેળો યોજવો જોઈએ. અટલ સરોવર શહેરની બારોબાર સાત કિમી દૂર આવેલું છે. આ સ્થળ પર મેળાનું આયોજન કરવામાં આવશે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડબલ રિક્ષા ભાડા ચૂકવવા પડશે. હાલ રેસકોર્સ મેદાનમાં લોકમેળો યોજાય છે ત્યારે કોઈ અઘટીત બનાવ ન બને તેની તકેદારી અને સાવચેતીના ભાગરુપે ફાયર સ્ટેશન અને સરકારી હોસ્પિટલ નજીક હોવાના કારણે લોકોની સુરક્ષા અને સલામતીના પગલા પણ સરળતાથી લઈ શકાય તેમ છે.