રાજકોટમાં ગરબીની સુરક્ષા માટે 1000 પોલીસ તૈનાત રહેશે, અર્વાચીન દાંડિયારાસમાં ફાયર NOC વગર નહીં મળે મંજૂરી

રાજકોટઃ નવરાત્રિનું પર્વ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટમાં 32 અર્વાચીન રાસોત્સવ, ઉપરાંત 73 પ્રાચીન ગરબી અને 573 શેરી ગરબી મળી કુલ 678 જેટલા આયોજન કરવામાં આવશે. જેની સુરક્ષા માટે 1000 પોલીસ તૈનાત રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષ કરતા આ વર્ષે પ્રાચીન અર્વાચીન રાસોત્સવના આયોજનની સંખ્યામાં વધારો થયો છે. તમામ રાસોત્સવના આયોજન માટે 1000થી વધુ પોલીસ હોમગાર્ડ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મોટર સાયકલ ઉપર પણ ગરબા ચાલે ત્યાં સુધી પેટ્રોલિંગ કરવામાં આવશે. તમામ આયોજનો રાત્રે 12 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાના રહેશે.
આ પણ વાંચો: ‘DJs પર નિયંત્રણ રાખો…’ નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા મહત્વના નિર્દેશ…
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, નિયત ડેસીબલ કરતાં વધુ અવાજ સર્જતા આયોજકો સામે પગલાં લેવાશે અને આ માટે પોલીસ ડેસીબલ માપતા યંત્રોથી સજ્જ રહેશે. આ ઉપરાંત અર્વાચીન દાંડિયારાસમાં ફાયર એનઓસી વગર મંજૂરી મળશે નહીં. અર્વાચીન રાસોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ એકઠા થાય છે ત્યાં કોઈ પ્રકારની અફડાતફડી ન સર્જાય તે માટે અલગ અલગ એન્ટ્રી એક્ઝિટ ગેઇટ રાખવા જણાવાયું છે. આ ઉપરાંત દરેક દિવસના સીસીટીવી ફૂટેજ સાચવવા, પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવા, માઇક-લાઉડ સ્પીકરનો અવાજ નિર્ધારિત કરાયેલા નિયમ પ્રમાણે જ રાખવા અપીલ કરવામાં આવી હતી.