રાજકોટમાં કરદાતાઓએ 244 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવી મનપાની તિજોરી છલકાવી…

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. 9 એપ્રિલ 2025થી 27 જૂન 2025 સુધીમાં કુલ 3,43,286 કરદાતાઓએ 244.14 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. આ વસૂલાતમાં 2,53,673 કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી 160.09 કરોડ અને 89,613 કરદાતાઓએ ચેક તથા રોકડથી 84.05 કરોડ ભર્યા હતા. એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને 25.62 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. યોજના અંતર્ગત મહિલા કરદાતાઓને 10% અને સામાન્ય કરદાતાઓને 5% વળતર આપવામાં આવે છે.
મિલકત વેરાના બાકીદારોને રાહત આપવાના હેતુથી રાજકોટ મહાપાલિકા દ્વારા વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મુકવામાં આવી હતી. આ યોજના હેઠળ કરદાતાઓ વાર્ષિક ધોરણે ચાર હપ્તામાં જૂનો ચડત અને ચાલુ વર્ષનો બાકી વેરો ભરી શકે છે, જેનાથી નવું ચડતું વ્યાજ બંધ થાય છે. 27 જૂન 2025 સુધીમાં, કુલ 4,019 કરદાતાઓએ આ યોજનામાં નોંધણી કરાવી હતી. આ યોજના 31 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને તેનો મહત્તમ લાભ લેવા વિનંતી મનપા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વેરા વસૂલાતમાં સારો સહયોગ આપનાર કરદાતાઓનું સન્માન કરવાના કાર્યક્રમ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિચારણા ચાલી રહી છે. આ પહેલ કરદાતાઓને પ્રોત્સાહિત કરશે અને ભવિષ્યમાં પણ સમયસર વેરો ભરવા માટે પ્રેરિત કરશે.