રાજકોટમાં આવતીકાલે જામશે મેળાનો રંગ,ગ્રાઉન્ડના માર્ગો 10 ફૂટ પહોળા કરવામાં આવ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા રાજકોટના લોકમેળાનો રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે સાંજથી પ્રારંભ થશે. જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓને તંત્ર દ્વારા બુધવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ લોકમેળાનું ઉદ્ઘાટન જીલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે. લોકમેળાનો પ્રારંભ થતાની સાથે જ મોજમસ્તીનો માહોલ છવાઈ જશે.

આ દરમિયાન જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે લોકમેળા સમિતિના હોદેદારો સાથે રેસકોર્સ ગ્રાઉન્ડની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી. જેમાં વરસાદના પગલે રેસકોર્સ ગ્રાઉન્ડમાં છવાયેલ કાદવ-કીચડને હટાવી ગ્રાઉન્ડને ચોખ્ખુ રાખવા માટે કલેકટર ડો. ઓમપ્રકાશે અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેના પગલે મેળાના ગ્રાઉન્ડમાં તાબડતોબ મોરમ પાથરવામાં આવી હતી.
રાજકોટમાં ’શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં 2 ડીસીપી સહિત 1900થી પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે
કલેકટર ડો.ઓમપ્રકાશે આ તકે જણાવ્યું હતું કે લોકમેળામાં દર વખત કરતા આ વખતે આંતરીક માર્ગો વધુ 10 ફૂટ પહોળા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ મેળામાં મુલાકાતીઓ આરામથી મેળાને માણી શકશે. આ ઉપરાંત મેળામાં કોઈ આકસ્મીક દુર્ઘટના સર્જાય તો ફાયર અને એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ સરળતાથી આવન જાવન કરી શકશે. તેઓએ જણાવ્યું હતું કે લોકમેળામાં ખાસ પાંચ જેટલા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.

આ વોચ ટાવર પર કિવક રીસ્પોન્સ ટીમ એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે. મેળામાં આ વખતે નગરજનોને અવનવી રાઈડસની રંગત માણવા મળશે. મોટી રાઈડસના તમામ 34 પ્લોટ ઉપર રાઈડ્સનું ફીટીંગ પરીપૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કેટલાક પ્લોટોમાં રાઈડસ પાછળ દબાણો ખટકાયેલ છે તેને હટાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ લોકમેળાનો 14 ઓગસ્ટથી પ્રારંભ: આ વર્ષની થીમ ‘શૌર્યનું સિંદૂર’, શું છે ખાસિયત?
કલેકટર ડો.ઓમપ્રકાશે આ મુલાકાત દરમ્યાન લોકમેળામાં રાઈડસ ફીટીંગ તથા ખાણીપીણી તથા રમકડાના સ્ટોલ, એકઝીબીશનની તૈયારી સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી. તેની સાથોસાથ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને અધુરી કામગીરી ઝડપભેર પરીપૂર્ણ કરવા માટે તેઓએ તાકીદ કરી હતી. લોકમેળામાં અન્ડરગ્રાઉન્ડ કેબલ પણ ફીટ કરી વીજ કનેકશનોની ફાળવણી કરી દેવામાં આવી હતી.
આ વખતે લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉભરતા કલાકારોને પણ પર્ફોર્મન્સ આપવાની તક પૂરી પાડવામાં આવી છે. મેળા દરમ્યાન બપોરથી રાત્રી સુધી અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે.