રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે સ્થિતિ થાળે પાડી | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે સ્થિતિ થાળે પાડી

રાજકોટઃ ગુજરાતમાં જન્માષ્ટમીના ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ક્યાં બની ઘટના

આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર બની હતી, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. અચાનક કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

80થી વધુ અલગ-અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ 39 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 40મી શોભાયાત્રા યોજાઈ હતી. આ વર્ષે 22 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ અલગ-અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. મુખ્ય રથમાં ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું આયોજન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું, તેમ છતાં આ ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું: ત્રણ દિવસમાં 8 લાખ લોકોએ મોજ માણી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button