રંગત જામી: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ત્રણ દિવસમાં 8.60 લાખથી વધુ લોકોએ કરી મુલાકાત

રાજકોટ: સૌરાષ્ટ્રના સાતમ આઠમના પર્વનું વિશેષ આકર્ષણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા જન્માષ્ટમીના લોકમેળાનો 17 ઓગસ્ટ ચોથો દિવસ હતો. 16 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે, સવારથી જ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ડ્રોન દ્વારા લેવાયેલા અવકાશી દૃશ્યોમાં મેળાનું મેદાન જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.

મેળાના પ્રથમ દિવસે 2.60 લાખ, બીજા દિવસે 3 લાખ અને ત્રીજા દિવસે 3 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 8.60 લાખથી વધુ લોકો મેળાની મજા માણી ચૂક્યા છે. આ આંકડા દર્શાવે છે કે રાજકોટનો લોકમેળો માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક મોટો ઉત્સવ છે.

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો પ્રતિક ગણાતો આ મેળો ‘મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઈ રહેવાનું સ્થળ’ બની ગયો છે. આ મેળામાં ધનવાન કે ગરીબનો ભેદભાવ ભૂલી સૌ સાથે મળીને આનંદ માણે છે. ‘હૈયે હૈયું દળાઈ’ તેવી જનમેદની આ પાંચ દિવસ દરમિયાન જોવા મળે છે.