આગની વધુ એક ઘટના: રાજકોટના રામનાથ પરામાં વીજ મીટરમાં બ્લાસ્ટથી લાગી આગ

રાજકોટ: રાજકોટમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં રામનાથપરાના એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વીજકંપનીના એક મીટરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને થોડા જ સમયમાં કાબૂ મેળવી લીધો હતો. સાથે જ આ ઘટનામાં તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના રામનાથ પરા શેરી નંબર 14મા આવેલા એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરના વીજકંપનીના મીટરમાં સાંજે અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટથી પાસે રહેલા અન્ય મીટરોમાં આગ પ્રસરી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ત્રણ ફાયર ફાઈટર સાથેના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને એપાર્ટમેન્ટમાંથી ફાયર બ્રિગેડે 14 લોકોને બચાવ્યા હતા. આગના સમયે એપાર્ટમેંટની આજુબાજુ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જો સદનસીબે આ આગના મામલામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી.