રાજકોટમાં શનિવારે કોરોનાના 8 કેસ નોંધાયા, જાણો શહેરમાં કુલ કેટલા છે કેસ

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે 8 કેસ નોંધાયા હતા. આજના 8 નવા કેસમાં 4 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે, જે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી નોંધાયા છે. શહેરમાં કુલ કેસનો આંકડો 32 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની તબિયત સ્થિર છે અને કોઈપણ દર્દી ગંભીર હાલતમાં ન હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલ 28 દર્દી સારવાર હેઠળ છે.
રાજ્યમાં કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય પ્રધાન લોકોને સાવચેત રહેવાની સાથે ડરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કોરોનાના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે. JF-1 ઓમિક્રૉન વેરિએન્ટ જ છે. આ વેરિએન્ટમાં સામાન્ય રીતે જે લક્ષણો આવે છે, તેના સિમ્પટમના આધારે દર્દીઓને સારવાર અપાઈ છે. જ્યારે અત્યારે જેટલાં પણ દર્દીઓ છે, તેઓ હોમ આઈસોલેટ થકી સારવાર મેળવી રહ્યા છે.’
આરોગ્ય પ્રધાને એમ પણ કહ્યું કે,રાજ્યના લોકોને મારી વિનંતી છે કે, બને ત્યાં સુધી આવા લક્ષણો ઘરની અંદર જણાય તો વ્યક્તિને આઇસોલેટ કરો એ વધુ હિતકારક છે. જોકે, આનાથી ડરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર સાથે અને તેની સંસ્થાઓ સાથે આરોગ્ય વિભાગે ચર્ચા કરી લીધી છે. કોઈએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની જરૂર છે.