રાજકોટ સિટી બસ અકસ્માતમા ચારના મૃત્યુ, મૃતકોને 15 લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત

રાજકોટ : ગુજરાતના રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. રાજકોટના કેકેવી ચોક પાસે પૂરઝડપે આવી રહેલી સિટી બસે આઠ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ બેકાબૂ બનેલા ટોળાએ સીટી બસમા તોડફોડ કરી હતી. સિટી બસ ચાલકને પણ માર માર્યો હતો. આ અકસ્માતની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.
ચાર લોકો ઘાયલ થયા
તેમાં ચાર લોકોના મૃત્યુ નીપજેલ છે, જેમાં મૃતકોમાં (1) રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા, ઉંમર વર્ષ 35, (2) સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, ઉંમર વર્ષ-40, (૩) બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ-25, (૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, ઉંમર વર્ષ-56 નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં (1) વિશાલ રાજેશભાઈ મકવાણા (2) સુરજ ધર્મેશ (3) સાનિયાબેન અજયભાઈ રાજબર (4) વિરાજબા મહાવીરસિંહ ખાચરનો સમાવેશ થાય છે.
ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ
આ દુર્ધટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામા આવ્યો છે. તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.
આપણ વાંચો: રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો, ત્રણ લોકોના મોત
મૃતકોને 15 લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત
મેયર નયનાબેન પેઢડીયા વધુમાં કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. સાથોસાથ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.