RMCની સામાન્ય સભા બની તોફાની, કોંગ્રેસે હાથમાં પાટાપીંડી કરી બિસ્માર રસ્તા વિરોધ કર્યો

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની સામાન્ય સભા તોફાની બની હતી. બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસે પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નગરસેવક હાથ અને કમર પર પાટા બાંધીને પહોંચ્યા હતા. જ્યારે મનસુખ સાગઠિયા સામે પણ તપાસ કરવા ઈડીને મંજૂરી આપવામાં આવી હતી.
સામાન્ય સભામાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા હતા. સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો કરતા મેયરનાં આદેશ બાદ ફાયર વિભાગના માર્શલો દ્વારા આ તમામ કોંગી કોર્પોરેટરોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
જેને લઈને વિપક્ષ નેતા સાગઠિયાએ ‘હાય રે ભાજપ હાય હાય’નાં નારા લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે,સામાન્ય વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જેને લઈને તંત્રને જગાડવા માટે અમે કમર અને હાથમાં પાટા બાંધીને પહોંચ્યા હતા. તંત્રને જગાડવા માટે તેઓએ હાથ અને કમરમાં પાટા બાંધ્યા હતા.
આ ઉપરાંત સાગઠિયાએ કહ્યું, અમે ભાજપ શાસકોને તેમનો ચહેરો બતાવવા પ્રયાસ કર્યો હતો. જો કે પોતાનો ભ્રષ્ટાચારી ચહેરો ભાજપના શાસકો જોઈ શક્યા નહોતા. જેને લઈને અમેં બોર્ડના કોઈ નિયમનો ભંગ ન કર્યો હોવા છતાં માર્શલો દ્વારા અમને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
આપણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં ખાડા પડતાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા…
આ ઉપરાંત જનરલ બોર્ડમાં મનસુખ સાગઠીયા સામે તપાસ કરવા ઈડીને મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી બાદ જનરલ બોર્ડ પણ મંજૂરી આપી દેતા ઈડી મનસુખ સાગઠીયા સામે તપાસ કરી ગમે ત્યારે ફરિયાદ પણ નોંધે તેવી સંભાવના છે.
આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ કલાસ વન અધિકારી સામે કાર્યવાહી કરવી હોય તો તેના માટે સ્ટેન્ડિંગ અને જનરલ બોર્ડની મંજૂરી જરૂરી છે. રાજ્ય સરકાર તરફથી મનસુખ સાગઠિયાની સામે કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત આજના બોર્ડમાં મળી હતી. જેને મંજૂર કરવામાં આવી હતી.