નોમોફોબિયાનું થશે ચોક્કસ માપન! ગુજરાતની આ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કસોટીને મળ્યા કોપીરાઇટ્સ

રાજકોટ: આધુનિક યુગના વ્યાપક માનસિક સ્વાસ્થ્ય પડકાર એવા નોમોફોબિયા (નો-મોબાઇલ ફોન ફોબિયા)ના સચોટ માપન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંશોધકોની ટીમે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભવનના વિદ્યાર્થિની દેસાઈ ઉન્નતિ, બેડીયા નેહા અને અઘેરા હિતેશ્રીએ એક નવી અને પ્રમાણિત મનોવૈજ્ઞાનિક કસોટી (Psychological Scale) સફળતાપૂર્વક વિકસાવી છે અને તેના કોપીરાઇટ્સ (Copyrights) પણ મેળવ્યા છે.
શું છે નોમોફોબિયા?
નોમોફોબિયા એ મોબાઇલ ફોનથી દૂર રહેવાના, બેટરી ખતમ થવાના, અથવા નેટવર્ક કનેક્ટિવિટી ગુમાવવાના તર્કહીન ડરને દર્શાવે છે. આ ડર યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને દૈનિક કાર્યક્ષમતાને ગંભીર અસર કરી રહ્યો છે.વિકસાવવામાં આવેલી આ નવી કસોટી નોમોફોબિયાની તીવ્રતાને ચોક્કસપણે માપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કસોટીના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:
વૈજ્ઞાનિક આધાર
તેની રચના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આંકડાકીય વિશ્લેષણના આધારે કરવામાં આવી છે, જે તેની વિશ્વસનીયતા (Reliability) અને યથાર્થતા (Validity)ને સુનિશ્ચિત કરે છે. આ કસોટીમાં સંપર્ક ગુમાવવાનો ડર, માહિતીની ઍક્સેસ ગુમાવવાનો ડર અને સગવડ ગુમાવવાનો ડર જેવા નોમોફોબિયાની ચિંતાને રજૂ કરતા વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ કસોટી ખાસ કરીને યુવાનો અને સ્માર્ટફોન પર વધુ નિર્ભર રહેતા વયસ્કોમાં નોમોફોબિયાનું સ્તર માપવા માટે તૈયાર કરાઈ છે.
કોપીરાઇટ્સ મળી જવાથી હવે સંશોધકો આ કસોટીનો ઉપયોગ કરીને નોમોફોબિયાના વ્યાપ અને તેના સહ-સંબંધિત પરિબળો પર મોટા પાયે સંશોધન કરી શકશે. નોમોફોબિયાના વધતા જતા પ્રભાવને સમજવા અને તેના પર નિયંત્રણ મેળવવાની દિશામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.



