રાજકોટ

વિજય રૂપાણીના નિધનથી શોક: મિત્રએ વાગોળ્યા અંતિમ પળોના સંસ્મરણો

રાજકોટ: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયા ફ્લાઇટ AI 171 ક્રેશ થયું હતું, જેમાં 241 મુસાફરો સહિત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. તેઓ તેમના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા તે સમયે તેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ગઇકાલે તેમના ડીએનએ મેચ થયા બાદ આજે તેમના પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો. આજે રાજકીય સમ્માન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. આ દરમિયાન તેમના જૂના મિત્રએ મીડિયા સાથે વાતચીત કરીને સંસ્મરણો વાગોળ્યા હતા.

બે દિવસ સુધી ખાવું નથી ભાવ્યું

વિજય રૂપાણીના 60 વર્ષ જૂના મિત્ર મહેશ મહેતાએ વિજયભાઇ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. વિજયભાઇ જ્યારે ફ્લાઇટમાં હતા, ત્યારે તેમની સાથે અંતિમ વખતના વીડિયો કોલમાં વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, “તેમની દીકરીની તબિયત ખરાબ હતી અને તે માટે તેઓ લંડન જઇ રહ્યા હતા. આ દરમિયાન મે તેમને હેપ્પી-જર્ની કહેવા માટે વીડિયો કોલ કર્યો હતો. 9 સેકન્ડ સુધી વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે જલ્દી જ પાછો આવીશ, પરંતુ દુર્ઘટનાનો ભોગ બન્યા. દુર્ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું અને બે દિવસ સુધી ખાવું નહોતું ભાવ્યું.”

વિશ્વાસ નથી થતો કે એક કલાકમાં જ…

મહેતાએ જણાવ્યું કે પહેલા મને લાગ્યું કે કદાચ આ રૂપાણીજીનું વિમાન નહોતું, પરંતુ બાદમાં પુષ્ટિ થઈ કે તેઓ એ જ વિમાનમાં હતા અને તેમનું નિધન થઈ ચૂક્યું છે. વિશ્વાસ નથી થતો કે એક કલાક પહેલા જ વાત થઈ હતી અને એક કલાકમાં જ આટલું બધું કેવી રીતે થઈ ગયું.

ઉલ્લેખનીય છે કે 12 જૂને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરનારા એર ઇન્ડિયાના આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 યાત્રીઓ, બે પાઇલટ અને 10 ક્રૂ મેમ્બરનો સમાવેશ થતો હતો. ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં તેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓ વિમાનમાં સવાર હતા અને જીવિત બચી શક્યા છે. આ જ વિમાનમાં વિજય રૂપાણી પણ સવાર હતા, જેમનું દુર્ઘટનામાં નિધન થયું હતું. આજે સાંજે રાજકીય સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે.

આ પણ વાંચો…એરક્રેશઃ ઈન્સ્યોરન્સ ક્લેમ ઝડપી બનાવવા અને પરિવારજનોના ટ્રોમા દૂર કરવા ખાસ ડેક્સ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button