જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માંગશે

વીરપુર: વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી લોહાણા સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે ત્યારે આ સમગ્ર મામલે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જામનગરમાં જણાવ્યું હતું કે, આ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને માફી માગશે તથા સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ ખુલાસો આપવામાં આવશે.
આ પણ વાંચો: જલારામ બાપા અંગે ટિપ્પણી કરવાનું સ્વામીને પડ્યું ભારેઃ 24 કલાકમાં મંદિરે આવી માફી માગવાનું મળ્યું અલ્ટિમેટમ
બાપાના મંદિરમાં માફી માંગશે
તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામબાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું, કે પૂજ્ય બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને બાપાના મંદિરમાં માફી માંગશે.
સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા જરૂરી ખુલાસો
તેમજ સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ જરૂરી ખુલાસો કરવામાં આવશે. આમ સ્વામી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવશે અને વિવાદનો અંત આવશે. આ પત્રકાર પરિષદમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલની સાથે અગ્રણીઓ રમેશભાઈ દંતાણી અને ગિરીશભાઈ ગણાત્રા પણ જોડાયા હતા.