Rajkot માં સોનાના વેપારી પાસેથી 1 કરોડનું સોનું લઈ ચાર કારીગરો ફરાર…

અમદાવાદઃ રાજકોટમાં(Rajkot)સોનાના વેપારીએ સોનાના દાગીના બનાવવા માટે આપેલું 1.08 કરોડનું 1467 ગ્રામ સોનું લઇ ચાર બંગાળી કારીગરો વેપારી સાથે વિશ્વાસઘાત કરીને ફરાર થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચારેય કારીગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
40 જેટલા બંગાળી કારીગરો સોની કામ કરે છે
ફરિયાદી નીરજભાઈ ધાનકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, કરણપરા ગરબી ચોક પાસે સોનાના દાગીના બનાવવાનું કારખાનું છેલ્લા 13 વર્ષથી ચલાવું છું. મારા કારખાનામા 40 જેટલા બંગાળી કારીગરો સોની કામ કરે છે. જે પૈકી પ્યાસ કાંતી પંડીત છેલ્લા પાંચેક વર્ષથી કામ કરે છે તેને સોનાની બંગડી બનાવવા માટે કુલ 8569.710 ગ્રામ સોનુ આપ્યું હતું. જેમાંથી મને સોનાની બંગડી બનાવી કુલ સોનું 7749.710 ગ્રામ પરત આપ્યું હતું. તેમાંથી 820 ગ્રામ સોનું જેની કિંમત 60,88,000 લેવાનું બાકી હોવાથી પ્યાસ પંડીતે પરત આપ્યું નહોતું.
આ પણ વાંચો : રાજ્યમાં અકસ્માતની વણઝારઃ શંખેશ્વરના સરપંચના પુત્ર સહિત 6 લોકોના વિવિધ બનાવમાં મૃત્યુ
અજય મંડલને સોનાની બંગડીનું કામ કરવા સોનું આપ્યું હતું
આ ઉપરાંત અન્ય કારીગર અનીસુર સાબીદઅલી રહેમાનને સોનાની બંગડી બનાવવા માટે 11539.150 ગ્રામ સોનું આપ્યું હતું અને જેમાંથી મને સોનાની બંગડી બનાવી કુલ સોનું 11452.150 ગ્રામ પરત આપ્યું હતું અને તેમાંથી 87 ગ્રામ સોનું જેની કિંમત 6,45,900નું લેવાનુ બાકી હતું. જે મને આ અનીસુર રહેમાને પરત આપ્યું નહોતું. જયારે અસીમ અજય મંડલને સોનાની બંગડીનું કામ કરવા માટે 4380.010 ગ્રામ સોનું આપ્યું હતું અને જેમાથી 266 ગ્રામ સોનું જેની કિંમત 19,74,900નું લેવાનુ બાકી હતું. જે મને અનીસુર રહેમાને પરત આપ્યું નથી તેની સાથે રહીમઅલી રજાબઅલીને 17950.580 ગ્રામ સોનું આપ્યું હતું.
વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતાં
તેમાંથી 294 ગ્રામ જેની કિંમત 21,82,800નું સોનું લેવાનું બાકી હતું. જે મને અનીસુર રહેમાને પરત આપ્યું નહોતુ. ગત 9મી ડિસેમ્બર બાદ આ ચારેય કારીગરો કામ પર આવ્યા નહોતા. તેઓ રાજકોટનું ઘર બંધ કરીને ફરાર થઈ ગયા હતાં.
આ ચારેય કારીગરોને કામ કરવા માટે આપેલા 22 કેરેટ સોનામાંથી 1467 ગ્રામ સોનું જેની કિંમત 1,08,91,600 રૂપિયા થાય છે. જે સોનું વેપારીને પરત નહીં આપી વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતાં. પોલીસે ચારેય સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.