ટોપ ન્યૂઝરાજકોટ

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન, રાજકોટ હિબકે ચડ્યું

રાજકોટ: બારમી જૂનના અમદાવાદમાં સર્જાયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહને આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમવિધિ પાર પાડવામાં આવી. અહીં સ્મશાનમાં હજારો લોકોની જનમેદની સાથે તેમના પરિજનો, નેતાઓ અને તેમના ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. દીકરો ઋષભ રુપાણી પણ લોકોની સાથે ચાલતો જોોવા મળ્યો હતો. વિજયભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં રાજકોટ શહેર જાણે હિબકે ચડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તેમના પુત્ર ઋષભ દ્વારા કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ અંતિમ સંસ્કાર સમયે ઉપસ્થિત રહ્યા હતા.

વરસાદની વચ્ચે અસંખ્ય લોકો અંતિમ દર્શન કરવા ઉમટ્યા

પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા બાદ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા શરૂ થઈ હતી. વરસાદી માહોલની વચ્ચે પણ અસંખ્ય લોકો વિજયભાઈનાં અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી અંતિમ યાત્રામાં વિજયભાઈ અમર રહોના નારા ગુંજી ઊઠ્યાં હતા.

તેમની અંતિમયાત્રા નિર્મળા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક પહોંચી હતી જ્યાં તેમની અંતિમ યાત્રા પર લોકોએ ગુલાબના ફૂલ વરસાવ્યા હતા. તે સિવાય રૂટમાં આવતા તમામ ઘર અને દુકાનમાંથી લોકોએ બહાર આવી પુષ્પવર્ષા કરી હતી. કોટેચા ચોકથી તેમની અંતિમ યાત્રા મહિલા કોલેજ અંડરબ્રિજ થઈને એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાગ્નિક રોડ થઈને ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને રામકૃષ્ણ આશ્રમ પરથી પસાર થઈ હતી.

ત્યાંથી તેમની અંતિમ યાત્રા માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક પરથી પસાર થઈ હતી. આ દરમિયાન રાજશ્રી ટોકીઝથી સોની બજાર જતા રસ્તા પર લોકોએ ફુલ પાથરી વિજયભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ થઈને રામનાથપરા સ્મશાનગૃહ પહોંચી હતી. જયા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજે પરિવારને સોંપાયો પાર્થિવ દેહ

પ્લેન ક્રેશ દુર્ઘટનાની ઘટનાના ત્રણ દિવસ બાદ 15 જૂનના રોજ વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થયા હતા, ત્યારબાદ આજે સવારે રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદથી હવાઈ માર્ગે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને હીરાસર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેમનાં પાર્થિવ દેહને રોડ માર્ગે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવ્યો હતો.

ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી ચોક, કેસરી હિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રેન્જ રોડ, નિર્મળા કોન્વેન્ટ રોડથી પ્રકાશ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાન લઈ જવાયો હતો.

પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને જઈને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય મહાનુભાવોએ વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ શોકપૂર્ણ ક્ષણે તેમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજકીય મહાનુભાવો અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિજય રૂપાણીનાં પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…વિજય રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઑફ ઓનર: અમિત શાહ, CM પટેલ સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button