રાજકોટ

રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં માર મારવાના કેસમાં દસ વર્ષ બાદ ડીસીપી, પીઆઈ સહિત 10 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ

રાજકોટ: વર્ષ 2014ના હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરાયેલા ચેતન ગોંડલીયાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં બેફામ માર મારવામાં આવ્યો હોવાના કેસમાં દસ વર્ષ બાદ મોટો વળાંક આવ્યો છે. કોર્ટે આ મામલે તત્કાલિન ડીસીપી ચૌધરી, પીઆઈ જાડેજા, પીએસઆઈ હડિયા સહિત કુલ 10 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

મળતી વિગતો અનુસાર વર્ષ 2014માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઈપીસી તથા આર્મ્સ એક્ટના ગુનામાં ચેતન ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડી બાદ નિયમ મુજબ ચેતનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે જજ સમક્ષ ફરિયાદ કરી હતી કે પોલીસ અધિકારી-કર્મચારીઓએ તેને બેફામ માર માર્યો છે.

આ ફરિયાદ બાદ ચેતનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બનાવને પગલે, 7 જાન્યુઆરી, 2015ના રોજ ડિસ્ટ્રીક્ટ જજે પોલીસ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ અંગે ઈન્કવાયરી કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટ દ્વારા ક્રિમિનલ ઈન્કવાયરી રજીસ્ટરમાં આ કેસની નોંધ કરવામાં આવી હતી.

આપણ વાંચો: સાંગલીમાં મેફેડ્રોનની ફેક્ટરી: યુએઇથી પ્રત્યર્પણ કરાયેલા વોન્ટેડ ડ્રગ પેડલરની મુંબઈ પોલીસે કસ્ટડી લીધી

ત્યારબાદ કોર્ટે ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ ગોંડલીયાની સોગંદ પરની જુબાની નોંધી હતી. આ ઉપરાંત, ચેતનભાઈની સારવાર કરનાર ડોક્ટર સુનીલભાઈની પણ સોગંદ પરની જુબાની લેવામાં આવી હતી અને તેમણે 5 જાન્યુઆરી, 2015ના રોજ ચેતનભાઈની ઈજાઓ અંગેનું મેડિકલ સર્ટીફીકેટ કોર્ટમાં રજૂ કર્યું હતું.

રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લેતા, તત્કાલિન ડીસીપી સહિત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાની મદદગારીથી ચેતનભાઈને સખત અને બોથડ પદાર્થથી માર મારી શરીરે દેખી શકાય તેવી ઈજાઓ પહોંચાડી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ રીતે જણાઈ આવ્યું હતું. આ અંગે ડિસ્ટ્રીક્ટ જજને ઈન્કવાયરીનો રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો હતો. 27 મે, 2025ના રોજ કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી ચાલી હતી.

રાજકોટના બીજા એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટે ઈન્કવાયરીને ક્રિમિનલ કેસ તરીકે રજીસ્ટરમાં નોંધવાનો હુકમ કર્યો હતો. આ હુકમ મુજબ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ વી. એમ. જાડેજા, તત્કાલિન પીએસઆઈ હડિયા, તત્કાલિન ડીસીપી ચૌધરી, કુલદીપસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, કિશન, પ્રતાપ, રાજુ બાલા, ક્રિપાલસિંહ અને રાવત આહીર સામે ધી ઈન્ડિયન પીનલ કોડની કલમ 323, 324 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button