રાજકોટ

રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, એકનું મોતઃ આંકડો 195 પર પહોંચ્યો

રાજકોટઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે. રાજકોટમાં આજે (19 જૂન)ના રોજ 69 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું હતું. શહેરમાં કોરોનાના વધુ 8 નવા કેસ નોંધાયા હતા, જેમાં એક બાળક અને એક સગીરનો પણ સમાવેશ થાય છે. જોકે, રાહતની વાત એ છે કે આજે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. આજે 11 દર્દીઓ હોમ આઇસોલેશનમાંથી સ્વસ્થ થઈ ગયા છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 195 પર પહોંચ્યો છે, જ્યારે કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા 144 થઈ ગઈ છે. હાલ શહેરમાં કુલ 51 સક્રિય કેસ છે, જેમાંથી 1 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના 50 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું

આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવા કેસોના આગમન છતાં શહેર રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે. આજે 11 દર્દીઓ સ્વસ્થ થતા કુલ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ દર્દીઓએ સફળતાપૂર્વક કોરોનાને મ્હાત આપી છે અને તેઓ પોતાના ઘરે સુરક્ષિત રીતે પરત ફર્યા હતા.

કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અપીલ

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટેસ્ટિંગ-ટ્રેસિંગની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી હતી. લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર હાથ ધોવા જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા સતત અપીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓના સ્વાસ્થ્ય પર પણ નિયમિતપણે નજર રાખવામાં આવી રહી છે અને તેમને જરૂરી માર્ગદર્શન અને દવાઓ પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચો…જગન્નાથ રથયાત્રા પર તોળાતું કોરોના સંકટ! જાણો આરોગ્ય પ્રધાને શું સલાહ આપી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button