મોરબીને મળશે આધુનિક જેલ: 32 એકર જમીન ફાળવાઈ…

મોરબીઃ સરકારી કચેરીઓ આધુનિક અને સુવિધાયુકત બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લા કક્ષાની જેલ બનાવવા મહત્ત્વનો નિર્ણય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આધુનિક જેલ બન્યા બાદ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં જિલ્લાકક્ષાની જેલને મંજૂરી આપી હતી. 171ની સામે 550થી વધુ ક્ષમતા ધરાવતી આધુનિક જેલ નિર્માણ પામશે. જિલ્લા જેલરની માગણીથી મોરબીથી ત્રણ કિમી દૂર આવેલા અમરેલી ગામમાં જેલ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જમીન તબદીલ કરવામાં આવી હતી.
નવી જેલની મંજૂરીના મુખ્યપ્રધાનના નિર્ણયને આવકારતા જિલ્લા જેલર ડી. એમ. ગોહિલે કહ્યું, મોરબીની સબ જેલ 1954માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે કેદીઓની સમાવેશ સંખ્યા 84ની હતી જે બાદમાં વર્ષ 2017માં જરૂરી સુધારા વધારા કરતાં 171 (143 પુરૂષ કેદી અને 28 મહિલા કેદી) કરાઈ હતી. કેદીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોઈ આગામી 50 વર્ષને ધ્યાને લઇને નવી જિલ્લા જેલ બનાવવા માટે જિલ્લા જેલ કમિટિએ તંત્રને દરખાસ્ત કરી હતી. જેલમાં કેદીઓના રહેવાની, મનોરંજન માટેના હોલ, હરવા ફરવા માટેની ખુલ્લી જગ્યાનો સમાવેશ થતો હતો. સરકાર દ્વારા કેદીઓને જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો શરૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે. 550 કેદીઓમાં 550 પુરૂષ કેદીઓ અને 50 મહિલા કેદીઓનો સમાવેશ કરવાના હેતુથી જમીનની માગણી કરવામાં આવી હતી.