હવે માર્કેટમાં આવશે ગોટલા વગરની કેરી, જૂનાગઢ ખેડૂતે વિકસાવી નવી જાત…

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં કેસર કેરી પ્રખ્યાત છે. ગીરની કેસર કેરીની નિકાસ પણ મોટાપાયે કરવામાં આવે છે, ત્યારે એક ખેડૂતે ગીરમાં ગોટલા વગરની કેરીની ખેતી કરી હતી. આ કેરી સિંધુ 117 નામથી ઓળખાશે. સાસણ નજીકના ભાલછેલના ખેડૂતે સીડલેસ કેરીની જાત વિકસાવી હતી.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલા ભાલછેલ ગામના બે ખેડૂતોએ કેરીની ખેતીમાં સંશોધન કર્યું હતું. આ બંને ખેડૂતોએ ગોટલા વગરની કેરીની ખેતી કરી હતી. શમ્સુદ્દીન જારિયા અને તેમના પુત્ર સુમિત જારિયાએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કેરીની ખેતીમાં નવીનતા સર્જી હતી. તેમણે ‘સિંધુ 117’ નામની નવી કેરીની જાત વિકસાવી છે. જે હાલમાં લોકોમાં ખૂબ જ વિશેષ લોકપ્રિય છે. આ કેરીની વિશિષ્ટતા એ છે કે, કેરીમાં ગોટલા જ નથી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુમિત જારિયાએ ભાલછેલ ગામનો રહેવાસી છે. તેણે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ આફ્રિકામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં નોકરી કરતા હતા. ત્યારબાદ તેઓ વતન પરત ફર્યા અને પોતાના પિતા સાથે કેરીની ખેતીની શરૂઆત કરી હતી. કેરીના સંશોધનમાં તેમણે વિશેષતા પ્રાપ્ત કરી હતી. આ ખેતી અંગે આશ્ચર્યની વાત તો એ છે કે, કેરીમાં ગોટલા ન હોય તે વાત કોઈને માનવામાં જ ન આવે. ભાલછેલના ખેડૂતોએ વૈજ્ઞાનિકોની સાથે મળીને વર્ષ 1992થી ગોટલા વગરની કેરીની ખેતી અંગે સંશોધન કર્યું હતું. હાલ તેમણે આ ખેતીમાં સિદ્ધિ મેળવી છે. તેમણે ‘સિંધુ 117’ નામની નવી જાતમાં કેરીની ખેતી કરી હતી.