ગુજરાતમાં જૂનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો, લોકો નદીમાં ખાબક્યા, કોઈ જાનહાનિ નહી

માંગરોળ : ગુજરાતના વડોદરા પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જૂનાગઢમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી અંગે જુનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં મશીન સાથે અનેક લોકો નદીમાં ખાબક્યા હતા.પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.
કોઈ જાનહાનિ નહી
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજ્યના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના લીધે સમારકામ મશીન સહિત કેટલાક લોકો નીચે નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી.
બ્રિજનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું
તેમજ સવારે આ બ્રિજનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક બ્રિજનો એક સ્લેબ તૂટી પડ્યો હતો. જેના લીધે પુલ પર રહેલું હીટાચી મશીન નીચે ખાબક્યું હતું. આજક ગામે આવેલો બ્રિજ કેશોદને માધવપુર સાથે જોડે છે. આ બ્રિજ પરથી દરરોજ અનેક વાહનો રોજ પસાર થાય છે. જોકે, આ પુલના સ્લેબ પર કેટલાક લોકો પણ ઉભા હતા જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા હતા. પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. તેમજ આ બ્રિજ તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો છે.
9 જુલાઈએ ગંભીરા બ્રિજના બે ટુકડા થયા, 20 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, ગત 9 જુલાઈ 2025ના રોજ વડોદરા નજીક મુજપુર અને આંકલાવને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ હતો. આ દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે અને હજુ એક મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.