ગુજરાતમાં જૂનાગઢ માંગરોળ બ્રિજ તુટવા અંગે સરકારની સ્પષ્ટતા, બ્રિજ સલામતી ખાતર તોડવામાં આવ્યો

ગાંધીનગર : ગુજરાતના માંગરોળ નજીક બ્રિજ તુટવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. જેમાં માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક-આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી બ્રિજ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન બ્રિજનો સ્લેબનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી.
બ્રિજ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો
જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક- આંત્રોલી ગામ વચ્ચે આવેલા બ્રિજ તૂટવાની ઘટનામાં એ સત્ય હકીકત બહાર આવી છે કે હકીકતમાં આ બ્રિજ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.મુખ્યમંત્રીની સુચનાથી સમગ્ર રાજ્યમાં બ્રિજોનું નિરીક્ષણ અને રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરાવવામાં આવ્યા છે. આ બ્રિજમાં સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના
જયારે કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા છે.
કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા બ્રિજનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.
આ પણ વાંચો….જૂનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો, લોકો નદીમાં ખાબક્યા, કોઈ જાનહાનિ નહી