ગિરનારની ‘દૂધ ધારા પરિક્રમા’: 65 વર્ષથી અવિરત છે દુષ્કાળનો અંત લાવનાર આસ્થાનો પ્રવાહ

જૂનાગઢ: સૌરાષ્ટ્ર સંતો, શૂરા અને ભક્તિની ભૂમિ રહ્યું છે. સૌરાષ્ટ્રના ચેતનાનાં કેન્દ્ર સમાન ગિરનારની પાવન ભૂમિ પર દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દૂધ ધારા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમા લગભગ 65 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવેલી એક અનોખી પરંપરા છે, જેની શરૂઆત ભગવતી બાપુના આશીર્વાદથી થઈ હતી. તેમના શિષ્ય પરમ પૂજ્ય કરમણ ભગત બાપુ આ પરંપરાને આજે પણ જીવંત રાખી રહ્યા છે.

65 વર્ષથી થાય છે દૂધ ધારા પરિક્રમાનું આયોજન
મળતી વિગતો અનુસાર ગિરનારની ગોદમાં દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશીના દિવસે આશરે 65 વર્ષથી પણ વધુ સમયથી દૂધ ધારા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને આજે પણ અકબંધ જાળવી રાખવામાં આવી છે, જેમાં ભવનાથ વિસ્તારના નેસડામાં વસવાટ કરતા માલધારી સમાજ દ્વારા આશરે 100 થી 150 લિટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. આ દૂધની ધારા સૌપ્રથમ નેસમાં આવેલા ગિરનારેશ્વર મહાદેવ મંદિરે અભિષેક કરીને ત્યાંથી ગિરનારના 30 પગથિયે આવેલા મહાદેવના મંદિરે અભિષેક કરી યાત્રાનો પ્રારંભ થાય છે. ત્યારબાદ પરિક્રમાના સમગ્ર 36 કિલોમીટરના રૂટ પર ગિરનારી મહારાજને આ દૂધ ધારાથી અભિષેક કરવામાં આવે છે અને છેલ્લે ગિરનારના 30 પગથિયે આ યાત્રા પૂર્ણ થાય છે.

શું છે દૂધ ધારા પરિક્રમાનું ઐતિહાસિક મહત્વ?
આ દૂધ ધારા પરિક્રમાનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. આશરે 65 વર્ષ પહેલા જ્યારે અતિ દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સંતોના સદવિચારથી આ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. અને તેનો સંયોગ જુઓ તો જે દિવસે આ દૂધ ધારા પરિક્રમા ચાલુ થઈ અને પૂરી થઈ તે પહેલા જ ધોધમાર વરસાદ થયો હતો. ત્યારથી અત્યાર સુધી આવી દુષ્કાળની સ્થિતિ ક્યારેય આવી નથી અને આ દૂધ ધારા પરિક્રમા પણ અવિરત ચાલુ રહી છે. હાલમાં, આ યાત્રા કરમણ ભગત બાપુના નેજા હેઠળ, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર, સામાજિક આગેવાનો, ડોલી એસોસિએશન અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી આયોજિત થાય છે. આ પરિક્રમામાં સમગ્ર હિન્દુ સમાજ એક શ્રદ્ધા સાથે જોડાઈને આસ્થા અને પરંપરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.