જામનગરના ખીજડીયા અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના 2 લાખ પક્ષીઓ નોંધાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
જામનગર: જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી પૂર્ણ થઈ હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદોએ ભાગ લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના બે લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.
ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદોએ ભાગ લીધો
આ કામગીરીનો મુખ્ય હેતુ અભયારણ્યમાં પક્ષીઓની સંખ્યા, તેમની જાતિઓ, વસવાટની સ્થિતિ અને પર્યાવરણ પર પડતી અસર અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવાનો હતો. આ ડેટા ભવિષ્યમાં પક્ષી સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ ઘડવામાં તેમજ સરકારની સંરક્ષણાત્મક યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી સાબિત થશે.
કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી
પક્ષી ગણતરી માટે સમગ્ર અભયારણ્યને વિવિધ ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યું હતું. કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વન વિભાગના કર્મચારીઓ, પક્ષીવિદો, નિષ્ણાતો અને પ્રશિક્ષિત સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ઈ-બર્ડ એપ્લિકેશન દ્વારા ડિજિટલ રીતે ડેટા નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લેન કેમેરા, સ્કોપ, દૂરબીન અને સ્કેનકાર્ડ જેવી પરંપરાગત પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ વિશેષ કામગીરીમાં મરીન નેશનલ પાર્ક, ખીજડીયા પક્ષી અભયારણ્ય, વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, વિવિધ એનજીઓ, રેસ્ક્યુ ટીમો અને ગાઈડમિત્રો સહિત અનેક પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિમિત્રોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને આ ગણતરીને સફળ બનાવી હતી.



