જામનગરમાં ડિમોલિશનનો વિરોધ કરતાં કોર્પોરેટર રચના નંદાણીયા સહિત 5 લોકોની અટકાયત

જામનગરઃ જામનગરમાં શનિવારે મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગરના સ્વામિનારાયણ નગર અને મધુવન સોસાયટીમાં તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન 10 જેસીબી અને 6 ટ્રેક્ટર સહિત 1 હિટાચી મશીનની મદદથી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. . .
ડિમોલિશનનો વિરોધ કરનાર નગરસેવક રચના નંદાણીયા સહિત 5 જેટલા લોકોની આજે અટકાયત કરવામાં આવી હતી. જામનગરમાં નદીના પટ્ટમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઈને સ્થાનિકોએ માંગ કરી હતી કે 10 જૂન સુધી આ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી ના કરવામાં આવે. છતાં તંત્ર દ્વારા મે મહિનાના અંતિમ દિવસે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકોએ આ મામલે કોર્પોરેટરને રજૂઆત કરતા તેમણે પણ તંત્ર સામે આ મામલે થોડો સમય માંગ્યો હતો. તંત્રની કામગીરી દરમિયાન વિરોધ કરી ડિમોલિશનની પ્રક્રિયામાં અવરોધરુપ બનતા કોર્પોરેટર રચના નંદાણીયા સહિત 5 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસામાં આ વિસ્તારોમાં વરસાદીનો પાણીનો ભરાવો થતા તેના નિકાલ માટે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આમાં કેટલાક ગેરકાયદે દબાણો પણ અડચણરૂપ બનતા હોવાથી મનપાએ શનિવારે સવારે આ દબાણો દૂર કરવા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં 17 ડીવાયએસપીને એસપી તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોને થોડા સમય અગાઉ નોટિસ આપ્યા બાદ જ નદીના પટ્ટમાં થયેલા 330 ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ દૂર કરી નદીના પટ્ટમાં 3.5 કિમી વિસ્તારમાં 4,51,854 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે.