આજથી એક મહિના સુધી જામનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ; સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા જાળવવા

જામનગર: ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો અત્યંત સંવેદનશીલ જામનગર જિલ્લામાં આવેલા વિવિધ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 07 ઓગસ્ટ, 2025 સુધી અમલમાં રહેશે.
જામનગર જિલ્લામાં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન (જામનગર અને સમાણા), આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જીએસએફસી અને અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા અનેક સંવેદનશીલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે. જિલ્લામાં કુલ 154 ક્રિટિકલ/સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન (112 સ્થાનો) અને યલો ઝોન (42 સ્થાનો) માં વિભાજિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા લીરા, હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસે માણી દારૂની મહેફિલ…
આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જામનગર જિલ્લાના રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર બનશે.