ગીર સોમનાથના ઝમઝીર ધોધના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા 6 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી બચાવાયા…

જામવાળા: ગીર સોમનાથ જિલ્લાના જામવાળા નજીક આવેલા ઝમઝીર ધોધ ખાતે આજે બપોરના સમયે દીવના ૩ યુવક અને ૩ યુવતી સહિત કુલ છ પ્રવાસીઓ અચાનક પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. ગીર જંગલના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને શિંગોડા ડેમના ઓવરફ્લોને કારણે ધાતરડી નદીમાં એકાએક પૂર આવતા ધોધ પર પાણી ફરી વળ્યું હતું, જેને કારણે આ છ વ્યક્તિઓ પાણી વચ્ચે ઘેરાઈ ગયા હતા.
પ્રવાસીઓની રાડારાડ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક કોડીનાર તેમજ ગીરગઢડા મામલતદારને જાણ કરી હતી. માહિતી મળતા જ સ્થાનિક તરવૈયા ટીમ, ઉના અને કોડીનારની રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા કલેક્ટર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા અને જરૂર પડ્યે હેલિકોપ્ટર મંગાવવાની પણ વ્યવસ્થા કરી હતી.

શિંગોડા ડેમનું પાણી બંધ કરાવ્યા બાદ પાણીનો પ્રવાહ ઓછો થતા, રેસ્ક્યુ ટીમે અડધા કલાકની ભારે જહેમત બાદ દોરડાની મદદથી તમામ છ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ યુવક-યુવતીઓમાં દીવના આનંદ ભાણજીભાઈ (ઉં.30), અભિષેક સુભાષભાઈ ઉપાધ્યાય (ઉં.31), કરણ રમેશભાઈ વઢવાણા (ઉં.27), મિતલબેન કરશનભાઈ વાઢેર (ઉં.24), રોશનીબેન કરણભાઈ વઢવાણા (ઉં.26) અને કલ્પનાબેન પ્રતિકભાઈ વઢવાણા (ઉં.36) નો સમાવેશ થાય છે.
બચાવ કામગીરી બાદ તમામ પ્રવાસીઓને પ્રાથમિક સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરે હાલની વરસાદી મોસમમાં પ્રવાસીઓને ઝમઝીર ધોધ નજીક ન જવાની અપીલ કરી છે, કારણ કે ઉપરવાસના વરસાદને કારણે પાણીનો પ્રવાહ ગમે ત્યારે વધી શકે છે.