ગીર સોમનાથ

કેમ ભણશે ગુજરાત? ગીર સોમનાથની ગામમાં પ્રવેશોત્સવ ટાણે પોપડા પડતાં વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત…

ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન જ અધિકારીઓ અને વાલીઓની હાજરીમાં જ અચાનક વિદ્યાર્થીઓ માથે પોપડા પડ્યા હતા, પરિણામે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી.પોપડા પડવાની ઘટનામાં બે વિદ્યાર્થિનીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ હોય અધિકારીઓ, આગવાનો અને વાલીઓની હાજરીમાં જ આ ઘટના બની હતી, જેનાથી ગ્રામ લોકોમાં રોષ ફેલાયો છે.

ત્રણ વિદ્યાર્થી ઘાયલ
મળતી વિગતો અનુસાર ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં આજે સવારે ૧૧ વાગ્યે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓને ધોરણ ૬ના વર્ગખંડમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ જર્જરિત ઓરડાની છત પરથી અચાનક પોપડા પડવા માંડ્યા હતા, જેના કારણે ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યાં
પ્રાથમિક માહિતી મુજબ બાલવાટિકામાં અભ્યાસ કરતી રિયાંશી વિપુલભાઈ સોલંકી અને ધોરણ ૧માં અભ્યાસ કરતી દીપનાંશી અશ્વિનભાઈ સોલંકીને માથાના ભાગે ઈજા થઈ હતી. આ ઉપરાંત, ધોરણ ૧માં અભ્યાસ કરતા ભગીરથ ભરતભાઈ શિંગડને પગમાં ઈજા થઈ હતી. આ ત્રણેય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક નજીકના ડોળાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ જિલ્લા અને તાલુકા શિક્ષણાધિકારીઓ લેરકા પ્રાથમિક શાળાએ દોડી આવ્યા હતા અને શાળાનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં શાળાના આચાર્ય દ્વારા પૂરતી કાળજી રાખવામાં ન આવી હોવાનું સામે આવ્યું હતું, જેથી તેમને અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

શાળાનું મકાન ઘણા સમયથી જર્જરિત હાલત
આ ઘટના બનતા વાલીઓ અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી ગયા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ શાળાનું મકાન ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, શાળાને મરામત માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં આચાર્ય દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના પર પગલાં ભરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હોવાની વિગતો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button