ગીર સોમનાથ

પ્રભાસ પાટણમાં મેગા ડિમોલેશન, 5000 ચોરસ મીટર જમીન કરી દબાણમુક્ત

ગીર સોમનાથઃ પ્રભાસ પાટણમાં આજે ફરી વાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે 5 હજાર ચોરસ મીટર જમીનમાં કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા. આ દબાણોમાં રહેણાક મકાનો, વાણિજ્ય હેતુસર ચાલતી દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહી માટે 7 JCB મશીન, 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો કાફલો કામે લગાડવામાં આવ્યો હતો.

પોલીસનો ચાંપતો બંદોબસ્ત

ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ કે વિરોધ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર 1 ડીવાયએસપી, 2 પી.આઈ, 4 પી.એસ.આઈ ઉપરાંત 82 પોલીસજવાન તહેનાત હતા. આ સાથે 10 ટીઆરબી જવાનો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટુકડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

જીએસઆરટીસીને ફાળવવામાં આવેલી 1300 ચોરસ મીટર જમીન દબાણમુક્ત થઈ

આ કાર્યવાહીના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ફાળવવામાં આવેલી વધારાની 1300 ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત થઈ હતી. આ જમીન ખુલ્લી થવાથી હવે સરકારી તંત્રની ભાવિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે તંત્રની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

આપણ વાંચો:  સુરતના પિતા-પુત્રીનાં હિમાલયમાંથી મળ્યા મૃતદેહ, જાણો શું બની કરૂણાંતિકા ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button