ગીર સોમનાથ

શિકાર કર્યા બાદ શિકારી સિંહ ખુદ કૂવામાં પડ્યોઃ વન વિભાગે કર્યો રેસ્ક્યુ, જૂઓ વીડિયો

ઊના: તાલુકાના ડમાસા ગામના શિવમંદિર પરિસરમાં મોડી રાત્રે એક સિંહે વાછરડાનો શિકાર કર્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે જ્યારે સિંહ મંદિરનો ડેલો ઠેકવા ગયો ત્યારે 20 ફૂટથી વધુ ઊંડા કૂવામાં પડી ગયો હતો. જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે જહેમત ઉઠાવી સિંહને કૂવામાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો.

ઘટનાની મળતી વિગતો અનુસાર મંદિરના પૂજારી મનસુખગિરી સવારે પૂજા માટે આવ્યા ત્યારે કૂવામાંથી અવાજ સંભળાયો હતો. તેમણે જોયું તો કૂવામાં સિંહ દેખાયો. તેમણે તરત જ ગામના યુવાનોને જાણ કરી. લોકો મંદિરે એકત્ર થયા હતા અને જસાધર વિનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

વનવિભાગના આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ અને ફોરેસ્ટર વીરાભાઈ ચાવડા સહિતની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રતાપ ખુમાણની ટીમે લોકોને નિયંત્રણમાં રાખ્યા જ્યારે કૂવા પાસે પાંજરું ગોઠવી દોરડા નાખીને સિંહને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લગભગ 30 મિનિટની મહેનત બાદ સિંહને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. વેટરનરી તબીબની તપાસ બાદ તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ડમાસા ગામમાં બે સિંહ અને એક સિંહણનો કાયમી વસવાટ છે. તેઓ અવારનવાર ગામમાં શિકાર કરવા આવે છે. ઊના પંથકમાં વારંવાર ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડાના આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. એક જ દિવસમાં બનેલી બે ઘટનાઓમાં આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર હુમલો કર્યો અને ડમાસામાં સિંહ કૂવામાં પડ્યો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાની માંગ ઊઠી રહી છે.

આ પણ વાંચો…ઉનાના સૈયદ રાજપરા ગામમાં દરિયામાં કરંટ આવવાથી 2 મકાન ધરાશાયી, ગ્રામજનોની હાલત બની કફોડી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button