ગીર સોમનાથ
ગીરગઢડા વાડીના મકાનની અગાશી પર સિંહણે રાત વિતાવી, સવારે શિકારની શોધમાં નીકળી…

ગીરગઢડાઃ ગીરગઢડા અને નાઘેર વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે. આ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. ગીરગઢડા-ફરેડા રોડ પર આવેલી રમેશભાઈ ડોબરીયાની વાડીમાં એક સિંહણ પોતાના બાળક સાથે રાતવાસો કરવા પહોંચી ગઈ હતી.
સિંહણે વાડીના મકાનની અગાશી પર રાત વિતાવી. સવારે જ્યારે મજૂરો વાડીમાં કામ માટે આવ્યા, ત્યારે તેમણે સિંહણને જોઈ હતી. સિંહણે પોતાના બાળકને સલામત સ્થળે મૂકીને પગથિયાં ઉતરીને વાડી છોડી દીધી. મજૂરોએ આ દૃશ્યનો વીડિયો પણ ઉતાર્યો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાડીના માલિક રમેશભાઈ ડોબરીયાએ જણાવ્યું કે સિંહણ ક્યારે પાછી આવીને પોતાના બાળકને લઈ ગઈ તેની કોઈને જાણ નથી. જંગલની સરહદ નજીકના ગામોમાં સિંહોનું આવવું સામાન્ય બની ગયું છે. આ ઘટના પણ વન્યજીવન અને માનવ વસાહત વચ્ચેના વધતા જતા સંપર્કનું ઉદાહરણ છે.