ડાયરા કિંગ દેવાયત ખવડને ઝટકોઃ કોર્ટે જામીન રદ કર્યા

ગીર સોમનાથઃ ડાયરા કિંગ દેવાયત ખવડને કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. ગીર સોમનાથમાં થયેલી મારામારીના કેસ મામલે વેરાવળ સેશન્સ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા. જ્યારે પોલીસે ખવડના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપી હતી. જ્યારે દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવાની માંગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો. પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર છૂટશે તો તપાસમાં અડચણ આવી શકે છે. ત્યારબાદ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતી લોક કલાકાર Devayat Khavad ના ચાંગોદર કેસમાં આગોતરા જામીન મંજુર…
તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખી હતી અને દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા.સમગ્ર કેસ મામલે તાલાલા પોલીસે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેને લઈને વેરાવળ સેશન્સ કોર્ટે ખવડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
શું હતો મામલો
અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 લોકોએ પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હતો હતો.
આ પણ વાંચો : પોલીસે ફરિયાદ ન નોંધતા લોકગાયક દેવાયત ખવડે અંતે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે, દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયો હતો.