દ્વારકા

બરડા ડુંગર અને સમિયાણી ટાપુ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી; જુઓ PHOTOS

દ્વારકા: સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા “સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા” સૂત્રને સાર્થક કરવા સામાન્‍ય પ્રવાહથી અલગ રહેતા વર્ગો પર ધ્યાન કેન્‍દ્રીત કરી એક નવતર અભિગમથી લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં મનોદિવ્યાંગ બાળકો સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ, ખંભાળિયા અને ભાણવડમાં સીનીયર સીટીઝનનાં ઘરે-ઘરે જઇ તેમની સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી યોગ વિશે જાગૃત કરવામાં આવ્યા હતાં.

ઉપરાંત એસ.ટી. બસનાં અધિકારી-કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા યાત્રિકો સાથે, કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા બરડા ડુંગર માં આવેલ આભાપરા હીલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજનાં લોકો સાથે, ઓખા વિસ્તારમાં આવેલ નિર્જન “સમિયાણી ટાપુ” પર પહોંચી પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી યોગ વિશે એક અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો.

આપણ વાંચો: વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી…

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ઉજવણી ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લા માં 1229 સ્થળો ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં અંદાજિત ૧ લાખ ૪ હજારથી વધુ લોકો સહભાગી બન્યા હતા.

આ કાર્યક્રમમાં અંદાજિત ૨ હજારથી વધુ લોકોએ સામુહિક યોગ અભ્યાસ કર્યો હતો. યોગ બોર્ડના એક્સપર્ટ કોચ દ્વારા યોગ દિવસ પ્રાર્થના બાદ સૌને યોગાસન તેમજ પ્રાણાયામ કરાવવામાં આવ્યાં હતાં, જેમાં વિદ્યાર્થીઓ, નાગરિકો સાથે કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક માનસેતા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button